પરંપરાગત ખેતી સાથે નવા વ્યવસાય તરફ પગલું, ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ અને સફળ ફાર્મની મુલાકાત
ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે પૂરક આવક મેળવવા પ્રોત્સાહિત કરવા માટે મધમાખી ઉછેરની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના પ્રથમ દિવસે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને મધમાખી પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તેની માવજત અને તેનાથી થતા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક ટેકનિકલ માહિતી આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરી તેમને નવા વ્યવસાય તરફ વાળવાનો છે.
હની ફાર્મની મુલાકાત અને સફળતાનું જીવંત નિદર્શન
તાલીમના બીજા દિવસે ખેડૂતોને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જાળિયા ગામે આવેલા ‘શ્રીરાજ હની ફાર્મ’ની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં સફળ યુવા મધમાખી પાલક અર્જુનભાઈ ઝાલાએ ખેડૂતોને જીવંત નિદર્શન દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. અર્જુનભાઈએ માત્ર ૧૦૦ પેટીથી શરૂઆત કરી આજે ૧૧૦૦ પેટી સુધી પહોંચવાની પોતાની સંઘર્ષગાથા જણાવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતથી ખેડૂતોને મધમાખી ઉછેરમાં આવતી મુશ્કેલીઓ અને તેના નિવારણ વિશે પ્રત્યક્ષ સમજ મળી હતી.
બાગાયતી યોજનાઓ અને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ
મધમાખી ઉછેરની સાથે ખેડૂતોએ મહંમદપુરા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર હોર્ટિકલ્ચર’ની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિવિધ બાગાયતી પાકોનું નિદર્શન જોયું અને સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ પૂર્ણ કરનાર તમામ ખેડૂતોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વિષયે વધુ માહિતી માટે ખેડૂતો ગાંધીનગરની નાયબ બાગાયત નિયામકની કચેરીનો રૂબરૂ અથવા ૦૭૯-૨૩૨૫૭૭૬૦ પર સંપર્ક કરી શકે છે.

