ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ માટે રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૮ ફેબ્રુઆરીએ અજમેરથી દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ જ કડીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપતી આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના નિષ્ણાત તબીબોએ સ્પષ્ટ કર્યું છે કે આ રસી અંગે ફેલાતી નકારાત્મક અફવાઓ પાયાવિહોણી છે અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે આ રસી મૂકવી અત્યંત જરૂરી છે.
ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરની ગંભીર સ્થિતિ
ભારતીય મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર બીજા ક્રમે છે. આંકડાઓ મુજબ, ભારતમાં દર ૪ મિનિટ અને ૧૨ સેકન્ડે એક મહિલામાં આ કેન્સરનું નિદાન થાય છે અને દર ૭ મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. દુર્ભાગ્યે, ૭૦ થી ૭૫ ટકા દર્દીઓ તપાસ માટે ત્યારે પહોંચે છે જ્યારે કેન્સર બીજા કે ત્રીજા સ્ટેજમાં હોય છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં ૪,૯૨૮ નવા કેસ અને ૧,૭૮૧ મૃત્યુ નોંધાયા હતા. આ કેન્સર મુખ્યત્વે HPV 16 અને 18 નામના વાયરસથી થાય છે. જો ૧૪ વર્ષની વયે આ રસી આપવામાં આવે, તો કિશોરીઓમાં આ વાયરસ સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસે છે.
રસીની સુરક્ષા અને વૈશ્વિક વિશ્વસનીયતાના પુરાવા
HPV રસીની સુરક્ષા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારતની ICMR જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સંપૂર્ણ મંજૂરી આપી છે. અમેરિકાની FDA અને CDC એ પણ આ રસીને વંધ્યત્વ જેવી આડઅસરોથી મુક્ત અને સુરક્ષિત ગણાવી છે. વિશ્વના ૧૦૦થી વધુ દેશોએ આ રસીને પોતાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરી છે. ઉદાહરણ તરીકે, ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૭થી આ રસી આપવાનું શરૂ થયા પછી કેન્સરના જોખમમાં ૯૦% નો ઘટાડો થયો છે, જ્યારે યુકેમાં ૧૨-૧૩ વર્ષની વયે રસી લેનાર યુવતીઓમાં કેન્સરનું પ્રમાણ ૮૭% જેટલું ઘટ્યું હોવાનું સાબિત થયું છે.
રાજ્ય સરકારની સજ્જતા અને રક્ષક કવચની અપીલ
ગુજરાત સરકાર અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને રક્ષણ આપવાના લક્ષ્યાંક સાથે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ મોંઘી રસી (જેના એક ડોઝની કિંમત બજારમાં રૂ. ૩,૦૦૦ છે) વિનામૂલ્યે આપી રહી છે. રસીની ગુણવત્તા જાળવવા માટે રાજ્યભરમાં ૨,૨૯૭ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત છે અને TeCHO+ પોર્ટલ દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. WHO ના વર્ષ ૨૦૩૦ સુધીના લક્ષ્યાંક મુજબ ૯૦% રસીકરણ પૂર્ણ કરવાનું ગુજરાતનું ધ્યેય છે. આરોગ્ય વિભાગ અને નિષ્ણાતો વાલીઓને અપીલ કરે છે કે અફવાઓથી દોરાયા વગર પોતાની ૧૪ વર્ષની દીકરીને આ ‘રક્ષક કવચ’ સમાન રસી અવશ્ય અપાવે.

