સ્ટર્લિંગ બાયોટેક કેસ: સુપ્રીમ કોર્ટમાં સરકારે સ્વીકારી સાંડેસરાની દરખાસ્ત, 17 ડિસેમ્બર સુધીમાં કરવા પડશે ₹5100 કરોડ જમા
જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના 18000 કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરા અને તેમના ભાઈ ચેતન સાંડેસરાની 5100 કરોડ 30 દિવસમાં ચૂકવીને દરેક ગુનામાંથી માફી આપવાની દરખાસ્તેને સુપ્રીમ કોર્ટમાં કાઉન્સિલર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. સાંડેસરા મામલામાં કોંગ્રેસના સ્વર્ગીય અને દિગ્ગજ નેતા અહેમદ પટેલ સામે પણ મોટા-મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાંડેસરા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટમાં સરકારના વલણે અનેક સવાલો પણ ઉભા કરી દીધા છે.
18000 કરોડ બાકી સામે 5100 કરોડનું પેમેન્ટ કરો
આમ 18000 કરોડ રૃપિયાના ડિફોલ્ટરને 5100 કરોડ જમા કરાવીને તમામ ગુનામાંથી માફી મળી જશે. નીતિન સાંડેસરાએ ૧૭મી ડિસેમ્બર સુધીમાં આ રૃપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો આ ચૂકાદો રદબાતલ થઈ જાય તેવી શક્યતા છે. નીતિન સાંડેસરાવતીથી કોર્ટમાં આ કેસ લડી રહેલા સિનિયર કાઉન્સિલ મુકુલ રોહતગીએ આજે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી 5100 કરોડ જમા આપીને બંને ભાઈઓને તમામ ગુનાઓમાંથી મુક્તિ આપી દેવાની દરખાસ્તને સોલીસિટર જનરલ તુષાર મહેતાએ આજે સુપ્રીમ કોર્ટમાં સ્વીકારી લીધી હતી.
17 ડિસેમ્બર સુધી પૈસા ભરી દો
5100 કરોડ ભરી દેવા માટે નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા તૃપ્તિ સાંડેસરાને 17મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. હજી પાંચ દિવસ પહેલા જ નીતિન સાંડેસરાએ 20000 કરોડના બાકી લેણા સામે માત્ર 500 કરોડ જમા કરાવીને તમામ આરોપોમાંથી અને જવાબદારીઓમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત મૂકી હતી. જોકે 500 કરોડ જમા કરાવીને માફી મેળવી લેવાની દરખાસ્તને બાજુએ મૂકી દેવામાં આવી હતી. નીતિન સાંડેસરા આ રકમ 17 ડિસેમ્બર સુધીમાં જમા ન કરાવે તો તેવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આજનો ઓર્ડર રદ થઈ જશે.ત્યારબાદ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરીટના ચાર્જશીટ પ્રમાણે તેમની સામે પગલાં આવશે. નીતિન સાંડેસરાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તપાસ કરી છે. તેમણે ચાર્જસીટ પણ ફાઈલ કરી હતી.
બેન્કરો નારાજ
નીતિન સાંડેસરાને લગભગ 75 ટકા નાણાં માફ કરીને પૈસા ભરીને ગુનામાંથી માફી આપવાના નિર્ણયથી બેન્કરો નારજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રિમિનલ એક્ટિવિટી કરનારાઓને માફી આપવાની પ્રથા શરૃ કરવામાં આવશે તો નિરવ મોદી, જતીન મહેતા, મેહૂલ ચોકસી અને વિજય માલ્ય સહિતના તમામ ડિફોલ્ટર્સ નાની રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે. આ પ્રથા બેન્કના ભાવિ માટે જોખમી સાબિત થઈ શકે છે.
ફોરેન બોન્ડના ઇન્વેસ્ટર્સ કેસમાંથી હટી ગયા
ફોરેન કન્વર્ટિબલ બોન્ડમાં રોકાણ કરનારાઓ નીતિન સાંડેસરા સામેના આજના કેસમાંથી આજે સવારે જ છૂટા થઈ ગયા હતા. તેમણે તેમના 600 કરોડ અને વ્યાજ મળીને 1800 કરોડના લેણે માળવવા માટે અલગથી કેસ કરવાનું નક્કી કર્યું છે. પરિણામે 20000 કરોડને બદલે 18000 કરોડના બાકી લેણાનો કેસ સેટલ થયો છે. આ બોન્ડમાં ગલ્ફ કન્ટ્રી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘના દેશના ઇન્વેસ્ટર્સે તેમના નાણાંનું રોકાણ કર્યું હતં. તેઓ પણ તેના નાણાં પરત તેમને મળી જાય તેના પ્રયાસ કરી રહ્યા છે.
