મહેમદાબાદ–મહુધા માર્ગ મુદ્દે સરકાર કડક: 200 કરોડના માર્ગમાં ખામી અંગે તપાસના આદેશ
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસલક્ષી બાંધકામોની ગુણવત્તા અંગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યના કોઈ પણ નિર્માણ કાર્યમાં મટીરિયલ કે ટેકનિકલ ગુણવત્તા સાથે રતીભર પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
મહેમદાબાદ-મહુધા માર્ગ મામલે કડક પગલાં
રૂ. ૨૦૦ કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો મહેમદાબાદ-મહુધા માર્ગ માત્ર એક જ વર્ષમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હોવાની ફરિયાદ સરકારને મળી હતી.
-
તપાસના આદેશ: મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઈ માર્ગ અને મકાન વિભાગના સચિવને તાત્કાલિક તપાસ સોંપી છે.
-
મરામતની સૂચના: આ માર્ગને તાત્કાલિક અસરથી ફરીથી વ્યવસ્થિત રીતે તૈયાર કરવા આદેશ અપાયા છે.
-
જવાબદારી: જે કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓની બેદરકારી જણાશે, તેમની સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની પણ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે.
ગ્રાન્ટના બહાને કામો અટકાવવા પર રોક
કેટલીકવાર વહીવટી સ્તરે ‘ગ્રાન્ટ નથી’ તેવું બહાનું કાઢીને જનતાના કામો ટલ્લે ચઢાવવામાં આવતા હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે:
૧. આયોજનબદ્ધ કામગીરી: જો ગ્રાન્ટ પૂર્ણ થવાની તૈયારીમાં હોય તો અગાઉથી જ તેની માંગણી કરી વ્યવસ્થા ગોઠવવી, જેથી કામ અટકે નહીં.
૨. બજેટનો વપરાશ: તમામ વિભાગોએ પોતાને ફાળવવામાં આવેલું બજેટ માર્ચ મહિનાના અંત સુધીમાં લોકહિતના કામોમાં યોગ્ય રીતે વાપરી નાખવું.
૩. વહીવટી સરળતા: નાગરિકોના કામ માત્ર વહીવટી પ્રક્રિયા કે ગ્રાન્ટના અભાવે અટકવા ન જોઈએ, તે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે.
મુખ્યમંત્રીશ્રીના આ કડક વલણથી સરકારી તંત્રમાં વધુ વેગ આવશે અને ભ્રષ્ટાચાર મુક્ત, ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

