રાજ્યના ગામડાઓ બનશે ઈકોનોમી હબ: ગ્રામ વિકાસ યોજનાઓની સમીક્ષા બેઠકમાં મંત્રીનો ભાર
ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના નિયામકો સાથે મંત્રીશ્રીએ ગ્રામીણ ઉત્થાન માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ગ્રામીણ સ્તરે થતા કામો માત્ર ઝડપી જ નહીં, પણ ગુણવત્તાયુક્ત અને નક્કર હોવા જોઈએ.
મંત્રીશ્રીના મુખ્ય દિશા-નિર્દેશો અને વિઝન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ ના વિઝનને કેન્દ્રમાં રાખીને મંત્રીશ્રીએ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા:
-
ગામડાં બનશે આર્થિક કેન્દ્રો: રાજ્યના ગામડાં જ્યારે ‘ઇકોનોમી હબ’ બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
-
શહેર જેવી સુવિધા: ગ્રામ્ય વિસ્તારોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી “Innovative of life” સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો.
-
સમયમર્યાદામાં અમલીકરણ: છેવાડાનો નાગરિક વિકાસથી વંચિત ન રહે તે માટે ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા.
મુખ્ય યોજનાઓની સમીક્ષા
બેઠક દરમિયાન ગ્રામ વિકાસની ત્રણ મુખ્ય પાંખો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું:
૧. PMAY-G: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેલા આવાસોનું કામ ઝડપથી પૂર્ણ કરી જરૂરતમંદોને ઘરનું ઘર આપવું.
૨. MGNREGA: મનરેગા હેઠળ ગ્રામીણ રોજગારીની સાથે સાથે જળ સંચય અને કાયમી મિલકતોના સર્જન પર ભાર.
૩. SBM-G: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઓડીએફ પ્લસ (ODF+) ગામોની સંખ્યા વધારવી અને ઘન-તરલ કચરાના વ્યવસ્થાપનને સુદ્રઢ બનાવવું.
આ બેઠકમાં અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને અધિક કમિશનર શ્રી બી.એમ. પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ અધિકારીઓને ગ્રામીણ નાગરિકોના જીવનસ્તરને ઊંચું લાવવા માટે સુચારું આયોજન કરવા આહવાન કર્યું હતું.
