સ્વસ્થ ગુજરાત–મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ધારાસભ્યો સાથે યોગ સંવાદ
ગાંધીનગરના નવા ધારાસભ્ય આવાસ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક વિશેષ ‘યોગ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત” ના અભિયાનને વેગ આપવાનો છે. આ પહેલ દ્વારા રાજ્યના લોકપ્રતિનિધિઓને યોગ સાથે જોડીને ‘વિકસિત ગુજરાત’ ના વિઝનને સાકાર કરવા માટે એક સબળ માધ્યમ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી યોગનો સંદેશ જન-જન સુધી પહોંચાડી શકાય.
વડાપ્રધાનના ‘મન કી બાત’ ના સંદેશને ચરિતાર્થ કરતું મેદસ્વીતા મુક્ત અભિયાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વધતી જતી મેદસ્વીતા (ઓબેસિટી) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષને મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રમતગમત મંત્રી શ્રી જયરામભાઈ ગામિત અને યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો હેતુ નાગરિકોને સાત્વિક આહાર અને નિયમિત યોગ તરફ વાળીને ગંભીર રોગોથી મુક્ત કરવાનો છે.
‘એક બૂથ, એક યોગ ક્લાસ’ ના અભિગમ સાથે યોગમય વિધાનસભાનો સંકલ્પ
આ કાર્યક્રમ દ્વારા રાજ્યના તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ‘એક બૂથ, એક યોગ ક્લાસ’ ના સૂત્ર સાથે યોગનો વ્યાપ વધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. જો રાજ્યના તમામ વિસ્તારો ‘યોગમય વિધાનસભા’ તરીકે પ્રસ્થાપિત થશે, તો નાગરિકોનું સ્વાસ્થ્ય સુધરશે અને સ્વસ્થ મન તથા સ્વસ્થ તન સાથે રાજ્યની વિકાસયાત્રા વધુ ઝડપી બનશે. લોકપ્રતિનિધિઓના સહયોગથી આ આંદોલનને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.
૫ કરોડ નાગરિકોને યોગ સાથે જોડવાનું રાજ્ય યોગ બોર્ડનું લક્ષ્ય
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધુ લોકોને યોગ સાથે જોડવામાં સફળ રહ્યું છે. હવે ધારાસભ્યોના સક્રિય સહયોગથી આ આંકડો ૫ કરોડ નાગરિકો સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહે તે માટે નાગરિકોનું શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ હોવું અનિવાર્ય છે. આ ઉમદા હેતુથી શરૂ થયેલું આ અભિયાન આગામી સમયમાં ગુજરાતના દરેક ઘર સુધી યોગની સુવાસ પહોંચાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
