અમદાવાદમાં હાલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો આવી રહયા છે ત્યારે અહીં યોજાયેલા દીક્ષા સમારોહમાં મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાત અને 10 વિદેશના યુવાનો મળી કુલ 46 નવયુવાનોએ દિક્ષા લીધી હતી
આ તકે પોતાના વહાલસોયા પુત્રને મહંત સ્વામીને સમર્પિત કરી ચૂકેલા વાલીઓ અને તેમના સ્નેહીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
શતાબ્દી મહોત્સવમાં જે 46 યુવાનોએ સંસારી જીવનનો ત્યાગ કરી દીક્ષા લેનાર યુવાનોએ ઉચ્ચ અભ્યાસ કરેલો છે જેઓ હવે ધર્મ થકી સમાજ સેવામાં પોતાનું યોગદાન આપશે.
દીક્ષા લેનારા પૈકી 4 યુવાનોએ અનુસ્નાતક , 22 યુવાનોએ સ્નાતક , 18 યુવાનોએ એન્જિનિયરિંગ, 1 યુવાને શિક્ષક અને 1 યુવાને ફાર્માસિસ્ટનો અભ્યાસ કરેલો છે.
અમદાવાદથી 150 કિમી દૂર આવેલા બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે.
ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું હતું.
વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેમણે અહીં બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવદીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સને 1980માં ઊભી કરી હતી.
પાર્ષદી દીક્ષા લેનારાં માટે સૌપ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે.
અહીં ત્રણ વર્ષની પૂર્વ સાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે, ત્યારબાદ દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સામૈયામાં રાખવામાં આવે છે.
શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમો પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે. હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે.
શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીશ્રીએ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી, ગામડે-ગામડે ફરી જન-જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે.
આમ કુલ 7 વર્ષનો અભ્યાસ કરીને આ સંતો નિયમ અને ભગવદનિષ્ઠા દૃઢ કરીને સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સમર્પિત થાય છે.
આમ, આ રીતે દીક્ષા આપવામાં આવે છે.