રબારી સમાજ ના ગુરુ નું નિધન થતા સર્વત્ર શોક નું મોજું ફરી વળ્યું છે.વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ નું સ્વર્ગવાસી થતા અનુયાયી સહિત રબારી સમાજમાં શોક નું મોજું છવાયું છે. સદગત ને પીએમ મોદી સહિત અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિતીન પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હાલ માં જ તરભમાં આવેલી રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાની જગ્યામાં રૂ.25 કરોડના ખર્ચે ભવ્ય શિવમંદિર પૂર્ણ થવાના આરે છે. આ મંદિરનો સંકલ્પ મહંત બળદેવગીરી બાપુએ કર્યો હતો અને તેમની હયાતીમાં જ મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા થાય તેવી અનુયાયીઓની લાગણી હતી પણ તેઓનાં નિધનથીઅનુયાયી સહિત રબારી સમાજમાં શોક છવાઇ ગયો છે.
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત બગડી હતી, જેઓ ને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ તબિયત વધુ લથડતાં આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા.
સમસ્ત રબારી સમાજ માટે આ પાવન સ્થળ માનવામાં આવે છે. તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગિરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ આવતા હતા. વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે નવસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. આમ ગુરુ ના સ્વર્ગવાસ ને પગલે રબારી સમાજ માં શોક નું મોજું ફરી વળ્યું છે. બળદેવગિરી બાપુની આજે શુક્રવાર ના રોજ 3 વાગે અંતિમ યાત્રા અને સાંજે 6 વાગે સમાધી અપાશે.
બાપુના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આશ્રમમાં ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે, તરભ વાળીનાથ ધામ, વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અને રાજકીય નેતાઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે.
Sunday, May 5