Gujarat: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન પણ થયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન સુધી અસ્મિતા રથને ફેરવવામાં આવશે અને જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 નો પ્રારંભ થયો છે. રાજકોટ-કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થયો છે, અને હવે ભાજપ સામે ખુલ્લો ક્ષત્રિયો સમાજ મેદાનમાં ઉતર્યો છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમાજને સમજાવી રહ્યા છે.
રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી સંતોષવામાં નહીં આવતા ક્ષત્રિયો હવે ભાજપ સામે ખુલ્લા વિરોધમાં આવી ગયા છે, અને ઓપરેશન ભાજપના નામે આંદોલન વેગવંતુ બનાવી રહ્યા છે.
ભાજપના નેતાઓને અમુક ગામડામાં પ્રવેશબંધી કરવામાં આવી છે, તો ભાજપને મત નહીં આપવા સોગંદ લેવડાવવામાં પણ આવી રહ્યા છે.
દ્વારકાથી પ્રસ્થાન થયેલા અસ્મિતા રથ હાલારના બન્ને જિલ્લામાં પરિભ્રમણ કરીને પહેલી મેના રોજ જામનગરમાં દરેક વોર્ડમાં પણ પરિભ્રમણ કરશે અને બીજી તારીખે મહાસંમેલન પણ યોજાયું છે.