કોરોના અંગે ગૃહમાં શોક પ્રસ્તાવમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું હતું. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. ગૃહમાં કામગીરી શરૂ થયા પહેલા રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા કોરોના વોરિયર્સને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ ચારેબાજુ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના અંગે ભગવાન સિવાય કોઈ જાણતું નથી. કાલે શું થશે, કોને શું થશે તે કોઈ જાણતું નથી. કોરોના વોરીયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું, જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું, ત્યારે અમે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ડોક્ટરોની સાથે જ સેવા આપી રહ્યા છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા તમામ હુતાત્માઓને આદરથી શ્રધ્ધાંજલી પાઠવુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થયા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વિપક્ષને જવાબ આપવા માટે સજ્જ છે. કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દા નથી. તમામ મુદ્દે સરકારની કામગીરી સારી છે. સીએમે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દેશના ખેડૂતોનું ભલું ઈચ્છતી નથી. ખેડૂતો દેશમાં ગમે ત્યાં માલ વેચી શકશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ શરૂ થઈ ગયું છે.