Gujarat: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે.
લોકસભા ચૂંટણી-2024 ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન પહેલી અને બીજી મે એમ બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે.
વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મે ના રોજ મતદાન યોજાશે. પાંચમી મે ના રોજ પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રવાસનો ગોઠવીને લાંબા સમયથી પ્રવર્તતા નિરસ પ્રચારમાં ગરમી આવશે. આમ તો હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે અને મોટાભાગના ઉમેદવારો સવારથી બપોર અને સાંજથી રાત સુધી નાની નાની સભાઓ, બેઠકો, સામાજિક બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તા. 27 થી 29 એપ્રિલ દરમિયાન દાહોદ, પંચમહાલની એક સંયુકત સભા યોજશે. અમિતભાઈ બારડોલીથી ર૭મીએ પોતાનો પ્રચાર પ્રવાસ શરૂ કરશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિતભાઈની સભાઓ ગોઠવાઈ રહી છે. તેમ સુત્રો જણાવે છે.
સુત્રો વધુમાં જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિને જુનાગઢથી પ્રચાર પ્રવાસનો આરંભ કરે તેવી રીતે આયોજન થયું છે. વડાપ્રધાન પહેલી એ બનાસકાંઠા અને આણંદમાં સભા જગવશે. બીજી તારીખે સુરેન્દ્રનગર , બનાસકાઠા, ભરૂચમાં સભા જગવી વડોદરામાં રોડ શો કરશે. વડાપ્રધાનનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે, તેમ જાણવા મળે છે.