કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે 5 મહાનગરોમાં 25 માર્ચ સુધી લોક ડાઉન કરવાનું કહ્યું છે. આ દરમિયાન નિયમોનું પાલન ના કરનારા લોકો પર પોલીસ કેસ કરવાનું કહ્યું છે. એવામાં સવાલ ઉભો થાય છે કે, અમદાવાદ સહિતના શહેરોમાં કલમ 144 લાગુ થયા બાદ શું રાજ્યસભાની ચૂંટણી નક્કી સમયમાં યોજાશે અથવા સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલા નિયમ રાજનેતાઓ પર પણ લાગુ થશે.
એપ્રિલ મહિનામાં ખાલી થઇ રહેલી રાજ્યસભાની 55 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં ગુજરાતની 4 બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે. કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના મહાનગરોને 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભારતનો ચૂંટણી પંચ રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખે તેવી માંગણી કરીશું, વિધાનસભા સત્ર મોકૂફ રાખવા કાલે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે.
ગુજરાતમાં 4 રાજ્યસભાની ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતની 4 બેઠકો માટે 5 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે 3 ઉમેદવાર જ્યારે કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોના તૂટવાના ડરથી પોતાના તમામ ધારાસભ્યોને જયપુર લઇ ગયુ છે. રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે કોરોના વાયરસને લઇને 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે તેમજ રાજસ્થાનમાં પ્રવેશતા તમામ રસ્તાને બંધ કરી દીધા છે. એવામાં સવાલ ઉભો થાય છે કે કોંગ્રેસના ધારાસભ્યો જો 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાય તો તે કેવી રીતે ગુજરાત આવી શકે.