ગાલે ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ-૧૧ અંગે મોટો સસ્પેન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા કે ગુર્નૂર બ્રાર? કેપ્ટન શુભમન ગિલે આપ્યો આ ઉત્તર
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ૧૫ ઓગસ્ટથી ગાલેના ઐતિહાસિક મેદાન પર શરૂ થઈ રહી છે. આ મેચની પૂર્વસંધ્યાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ગ્રાઉન્ડ પર ઉતરનારી અંતિમ પ્લેઇંગ-૧૧ (Playing XI) ના સંયોજન અંગે મહત્વપૂર્ણ વાતો શેર કરી છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોહમ્મદ સિરાજ સાથે ઝડપી બોલિંગની જવાબદારી કોણ સંભાળશે પ્રસિદ્ધ કૃષ્ણા કે યુવા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રાર? કેપ્ટન ગિલે સ્પષ્ટ કર્યું છે કે બંનેમાંથી એક ખેલાડીને પસંદ કરવો એ ટીમ મેનેજમેન્ટ માટે ખૂબ જ જટિલ નિર્ણય બની રહ્યો છે.
પ્રસિદ્ધ અને ગુર્નૂર વચ્ચે કડી ટક્કર
ગાલેની પિચ પર સામાન્ય રીતે સ્પિનરોનું પ્રભુત્વ હોય છે, જેના કારણે ભારત મેદાનમાં માત્ર બે જ મુખ્ય ઝડપી બોલરો સાથે ઉતરે તેવી પૂરી શક્યતા છે. મોહમ્મદ સિરાજનું સ્થાન નક્કી માનવામાં આવે છે, ત્યારે બીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુર્નૂર બ્રાર વચ્ચે હોડ જામી છે.

પ્લેઇંગ-૧૧ અંગે વાત કરતા કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું:
“ગુરનૂર બ્રાર પાસે જૂના બોલ સાથે શાનદાર બાઉન્સ અને સ્પીડ જનરેટ કરવાની ક્ષમતા છે. તેણે નેટ્સમાં અદ્ભુત બોલિંગ કરી છે. બીજી તરફ, પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ તાજેતરની પ્રેક્ટિસ મેચોમાં અને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ખૂબ જ પરિપક્વતા દર્શાવી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આ બંનેમાંથી કોઈપણ એક માટે પોતાની જાતને સાબિત કરવાની સુવર્ણ તક છે.”
તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણા પાસે અત્યાર સુધીમાં ૭ ટેસ્ટ મેચોનો અનુભવ છે, જેમાં તેણે ૨૫ વિકેટો ઝડપી છે. તેની પાસે ઉંચાઈ અને અનુભવનો ફાયદો છે, જ્યારે ગુર્નૂર બ્રાર પોતાની ઝડપથી સરપ્રાઈઝ આપી શકે છે.
ટીમમાં ત્રણ સ્પિનરો સાથે ઉતરશે ભારત
ગાલે સ્ટેડિયમની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારત ત્રણ સ્પિનરોની ત્રીપુટી સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ચાઇનામેન બોલર કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર તરીકે રમી શકે છે. જ્યારે ત્રીજા સ્પિનર તરીકે યુવા ડાબોડી બોલર માનવ સુથારને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, જે નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે.

બીજી તરફ, સાઈ સુદર્શન આ મેચમાં રમશે નહીં. ગિલે સાઈ સુદર્શન વિશે ખુલાસો કરતા કહ્યું કે, તેની ફિટનેસ હાલમાં ટેસ્ટ મેચના સ્તર સુધી પહોંચી નથી. ટીમ મેનેજમેન્ટ કોઈ પણ ખેલાડીની ઈજા સાથે જોખમ લેવા માંગતું નથી, તેથી તેને આ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ભારત માટે ૬૦૦મી ટેસ્ટ: સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક ક્ષણ
૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના શુભ અવસરે રમાનારી આ ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટ માટે પણ એક યાદગાર માઇલસ્ટોન સાબિત થવાની છે. આ મેચ ભારતની ૬૦૦મી ટેસ્ટ મેચ હશે.
૬૦૦મી ટેસ્ટમાં દેશનું નેતૃત્વ કરવા અંગે શુભમન ગિલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “સ્વતંત્રતા દિવસે ભારતની ૬૦૦મી ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે અદ્ભુત ગૌરવ અને સન્માનની વાત છે. આ મેચને જીતીને યાદગાર બનાવવાનો અમારો પૂરો પ્રયાસ રહેશે.”