“હું ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને નહીં આપું”: NCERT પુસ્તકમાં ભ્રષ્ટાચારના પ્રકરણ પર CJI લાલઘૂમ
ભારતની સર્વોચ્ચ અદાલતે NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે લખાયેલા લખાણ સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે સંજ્ઞાન (Suo Motu) લેતા તેને અત્યંત ગંભીર ગણાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સંસ્થાની ગરિમા સાથે રમત કરનારાઓ સામે કાયદો પોતાનું કામ કરશે.
કપિલ સિબ્બલે કોર્ટનું ધ્યાન દોર્યું
બુધવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “ધોરણ 8 ના નાના બાળકોને પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે ભણાવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.” આ સાંભળીને CJI એ કડક વલણ અપનાવતા કહ્યું કે, “એક સંસ્થાના વડા તરીકે મેં મારી ફરજ નિભાવી છે અને આ મામલે સંજ્ઞાન લીધું છે. હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં.”
“આ એક પૂર્વનિયોજિત પગલું લાગે છે”
CJI સૂર્યકાંતે આકરા શબ્દોમાં કહ્યું કે, પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું કન્ટેન્ટ ઉમેરવું એ કોઈ ભૂલ નહીં પણ એક વિચાર્યું-સમજ્યું પગલું લાગે છે. જસ્ટિસ બાગચીએ પણ સહમતી દર્શાવતા ઉમેર્યું કે, આ પ્રકારનું લખાણ બંધારણના મૂળભૂત માળખા (Basic Structure) ની વિરુદ્ધ જણાય છે. કોર્ટે નોંધ્યું કે આ મામલે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, પરંતુ તમામ હાઈકોર્ટના જજો અને બાર એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
NCERT પુસ્તકમાં શું લખાયું છે?
NCERT ની ધોરણ 8 ની નવી સામાજિક વિજ્ઞાનની ચેલેન્જીસ ઓફ જ્યુડિશિયલ સિસ્ટમ (ન્યાયિક પ્રણાલીના પડકારો) પ્રકરણમાં ન્યાયતંત્ર સામેના પડકારો તરીકે ‘ભ્રષ્ટાચાર’, ‘કેસોનો ભરાવો’ અને ‘ન્યાયાધીશોની અછત’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ નામના સેક્શનમાં જજો માટેના આચારસંહિતા (Code of Conduct) ની પણ ચર્ચા કરવામાં આવી છે.
CJI એ કહ્યું- “હું પોતે આ મામલો જોઈશ”
ચીફ જસ્ટિસે તમામ પક્ષોને આશ્વાસન આપતા કહ્યું કે, “મહેરબાની કરીને થોડા દિવસ રાહ જુઓ, હું વ્યક્તિગત રીતે આ મામલાની દેખરેખ રાખી રહ્યો છું. કાયદો તેનું કામ કરશે.” સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ હવે NCERT દ્વારા આ વિવાદાસ્પદ પ્રકરણમાં ફેરફાર કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

