શું ઓવરઈટિંગથી બીમારીઓનું જોખમ વધે છે? જાણો નિષ્ણાતોનો મત
આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં સ્વાદ અને ક્રેવિંગના કારણે જરૂરિયાત કરતા વધારે ખાઈ લેવું એ એક સામાન્ય આદત બની ગઈ છે. ઘણા લોકો પેટ ભરાઈ ગયા પછી પણ મનગમતી વાનગી જોઈને તેને આરોગવાનું છોડતા નથી. પરંતુ, ડૉ. અજીત જૈનના જણાવ્યા અનુસાર, આ આદતને સામાન્ય ગણવી એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. લાંબા ગાળે ઓવરઈટિંગ શરીરના આંતરિક અંગો પર ગંભીર નકારાત્મક અસર કરે છે.
ઓવરઈટિંગ શરીર પર કેવી રીતે અસર કરે છે?
જ્યારે આપણે વારંવાર જરૂર કરતા વધુ ખોરાક લઈએ છીએ, ત્યારે આપણા પાચનતંત્ર પર વધારાનું દબાણ આવે છે. શરીર આ વધારાની કેલરીને ઊર્જામાં રૂપાંતરિત કરી શકતું નથી, પરિણામે તે ચરબી (Fat) તરીકે જમા થવા લાગે છે. જંક ફૂડ અને તેલયુક્ત ખોરાકનું સેવન આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. ધીમે-ધીમે આ આદત શરીરના મેટાબોલિઝમને નબળું પાડે છે, જેના કારણે ઘણી નવી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે.
ઓવરઈટિંગથી થતી ગંભીર બીમારીઓ
દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસર ડૉ. અજીત જૈન જણાવે છે કે ઓવરઈટિંગની આદતથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:
- મેદસ્વીપણું (Obesity): સૌથી પહેલા શરીરનું વજન વધે છે, જે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું મૂળ છે.
- હૃદય રોગ: વધુ પડતું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે હૃદયની નળીઓમાં અવરોધ પેદા કરી શકે છે.
- પાચનની સમસ્યાઓ: એસિડિટી, ગેસ, અપચો અને પેટનું ફૂલવું જેવી તકલીફો કાયમી બની જાય છે.
- ફેટી લીવર: લાંબા સમય સુધી આ આદત જળવાઈ રહે તો લીવર પર ચરબી જમા થાય છે, જેને ફેટી લીવર કહેવામાં આવે છે.
ઓવરઈટિંગના લક્ષણો કેવી રીતે ઓળખવા?
ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કે આપણે ઓવરઈટિંગ કરી રહ્યા છીએ. તેના મુખ્ય લક્ષણોમાં:
- જમ્યા પછી પેટમાં ભારેપણું લાગવું.
- ખૂબ જ આળસ આવવી અથવા સતત ઊંઘ જેવું અનુભવવું.
- શરીરને જરૂર ન હોવા છતાં વારંવાર ભૂખ લાગવી (Emotional Eating).
- જમ્યા પછી છાતીમાં બળતરા અથવા ગેસ થવો.
- જમ્યા બાદ અસહજતા કે પસ્તાવો અનુભવવો.
આ આદતથી બચવાના ઉપાયો
જો તમે તમારી ખાવા-પીવાની આદતો પર થોડું ધ્યાન આપો, તો આ જોખમથી બચી શકાય છે:
- ધીમેથી ચાવો: ખોરાકને હંમેશા ચાવી-ચાવીને ખાવો જોઈએ. આનાથી મગજને પેટ ભરાઈ ગયું હોવાનો સંકેત સમયસર મળે
- માપમાં ખાઓ: હંમેશા તમારી ભૂખ કરતા થોડું ઓછું જમવાનો આગ્રહ રાખો.
- જંક ફૂડથી દૂર રહો: વધુ પડતું તળેલું અને પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો અને હેલ્ધી ડાયટ અપનાવો.
- સમયસર ભોજન: લાંબો સમય ભૂખ્યા ન રહો, કારણ કે વધુ ભૂખ લાગવા પર વ્યક્તિ અજાણતામાં જ જરૂર કરતા વધારે ખાઈ લે છે.
તમારા શરીરની વાત સાંભળવી ખૂબ જરૂરી છે. યાદ રાખો કે ખોરાક શરીરને ચલાવવા માટે છે, તેને બીમાર કરવા માટે નહીં!

