એશિયામાં નિપાહનો ખતરો: ભારતમાં બે કેસ બાદ પાકિસ્તાન સહિત અનેક દેશોમાં એરપોર્ટ પર કડક તપાસ શરૂ
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ડિસેમ્બર 2025ના અંતમાં નિપાહ વાયરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ એશિયાના અનેક દેશોએ સુરક્ષાત્મક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ બંને દર્દીઓ સ્વાસ્થ્યકર્મીઓ છે અને હાલમાં તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે, આ વાયરસના ઊંચા મૃત્યુદરને જોતા પાકિસ્તાન, થાઈલેન્ડ, સિંગાપોર અને વિયેતનામ જેવા દેશોએ તેમના એરપોર્ટ અને સરહદો પર મુસાફરોનું સ્ક્રીનિંગ વધારી દીધું છે.
પાકિસ્તાને સરહદો કરી સીલ જેવા નિયમો લાગુ
પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે મોડી રાત્રે એક એડવાઈઝરી જારી કરી છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, હવે કોઈપણ મુસાફરને ‘બોર્ડર હેલ્થ સર્વિસીસ’ (BHS) ની મંજૂરી વિના દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- 100% સ્ક્રીનિંગ: એરપોર્ટ પર તમામ મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને ડ્રાઈવરોનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
- 21 દિવસનો હિસ્ટ્રી: મુસાફરોએ છેલ્લા 21 દિવસમાં કયા દેશોની મુલાકાત લીધી છે તેની વિગતો આપવી પડશે. ખાસ કરીને ભારતથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે.
એશિયાના અન્ય દેશોમાં પણ એલર્ટ
- સિંગાપોર અને થાઈલેન્ડ: સિંગાપોરની કમ્યુનિકેબલ ડિસીઝ એજન્સીએ ભારતથી આવતી ફ્લાઈટ્સ માટે ટેમ્પરેચર સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. થાઈલેન્ડે પણ પ્રભાવિત વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ માટે હેલ્થ ડિકલેરેશન ફોર્મ ભરવું અનિવાર્ય બનાવ્યું છે.
- વિયેતનામ: વિયેતનામના નોઈ બાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોડી-ટેમ્પરેચર સ્કેનર્સ લગાવવામાં આવ્યા છે.
કેમ આટલો ખતરનાક છે નિપાહ વાયરસ?
નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓ (મુખ્યત્વે ચામાચીડિયા અને ભૂંડ) માંથી મનુષ્યોમાં ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ આ વાયરસ અત્યંત ઘાતક છે:
- ઊંચો મૃત્યુદર: આ વાયરસથી સંક્રમિત લોકોમાં મૃત્યુદર 40% થી 75% જેટલો છે, જે કોવિડ-19 કરતા ઘણો વધારે છે.
- કોઈ રસી નથી: અત્યાર સુધી નિપાહ વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી. માત્ર લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે.
- મગજમાં સોજો: આ વાયરસ ફેફસામાં ઈન્ફેક્શનની સાથે મગજમાં સોજો (Encephalitis) લાવે છે, જેનાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે.
સાવચેતીના પગલાં: શું કરવું અને શું ન કરવું?
નિષ્ણાતોએ લોકોને નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે:
- જમીન પર પડેલા અથવા ચામાચીડિયાએ કરડેલા ફળો ખાશો નહીં.
- કાચો તાડીનો રસ (Date palm sap) પીવાનું ટાળો, કારણ કે તેમાં ચામાચીડિયાની લાળ હોઈ શકે છે.
- સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના સીધા સંપર્કથી દૂર રહો.
- જો તાવ, માથાનો દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
ભારતીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને 196 જેટલા સંપર્કોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં, એશિયાઈ દેશોમાં જે રીતે એલર્ટ જાહેર કરાયું છે તે સૂચવે છે કે વિશ્વ હવે કોઈપણ નવી મહામારીને લઈને સહેજ પણ બેદરકારી રાખવા માંગતું નથી.

