આત્મનિર્ભર ભારતની મોટી ઉડાન: દેશનું પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘ICGS સમુદ્ર પ્રતાપ’ તટ રક્ષક દળમાં સામેલ
ભારતની દરિયાઈ સુરક્ષા અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને એક નવી મજબૂતી આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 5 જાન્યુઆરી, 2026 ના રોજ ગોવામાં ભારતીય તટ રક્ષક જહાજ (ICGS) ‘સમુદ્ર પ્રતાપ’ ને કાર્યરત (કમીશન) કર્યું. ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા નિર્મિત આ જહાજ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ પ્રદૂષણ નિયંત્રણ જહાજ (PCV) છે. તે માત્ર તેની શ્રેણીમાં સૌથી આધુનિક નથી, પરંતુ ભારતીય તટ રક્ષક દળના કાફલામાં સામેલ અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ પણ છે.
વડાપ્રધાને ગણાવી ‘આત્મનિર્ભરતાની મોટી સિદ્ધિ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અવસર પર ‘X’ (અગાઉ ટ્વિટર) દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ICGS સમુદ્ર પ્રતાપનું કમીશનિંગ આપણી સુરક્ષા વ્યવસ્થાને વેગ આપે છે અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ જહાજ નિર્માણના ક્ષેત્રમાં ભારતની વધતી જતી ઉત્કૃષ્ટતાનું પ્રમાણ છે.
આધુનિક ટેકનોલોજી અને સ્વદેશી તાકાત
‘સમુદ્ર પ્રતાપ’ જહાજની ઘણી વિશેષતાઓ તેને વિશ્વના પસંદગીના જહાજોની શ્રેણીમાં ઉભું કરે છે:
- સ્વદેશી સામગ્રી: આ જહાજના નિર્માણમાં 60 થી 72 ટકા જેટલી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- પ્રદૂષણ નિયંત્રણ ક્ષમતા: તે ખાસ કરીને સમુદ્રમાં તેલના ગળતર (oil spills) ને શોધવા અને તેને રોકવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં સાઈડ-સ્વીપિંગ આર્મ્સ, હાઈ-કેપેસિટી ઓઈલ રિકવરી સિસ્ટમ અને એક સમર્પિત પ્રદૂષણ નિયંત્રણ પ્રયોગશાળા છે.
- કદ અને ઝડપ: તેની લંબાઈ 114.5 મીટર અને વજન આશરે 4,170 ટન છે. આ જહાજ પ્રતિ કલાક 22 નોટિકલ માઈલની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી શકે છે અને એકવારમાં 6,000 નોટિકલ માઈલની મુસાફરી કરવા સક્ષમ છે.
- અગ્નિશમન પ્રણાલી: દરિયાઈ કટોકટીનો સામનો કરવા માટે તેમાં શક્તિશાળી બાહ્ય અગ્નિશમન પ્રણાલી (Fi-Fi Class 2) અને હેલિકોપ્ટર હેંગરની સુવિધા પણ આપવામાં આવી છે.
The commissioning of Indian Coast Guard Ship (ICGS) Samudra Pratap is noteworthy for numerous reasons, including the fact that it adds strength to our vision of self-reliance, boosts our security apparatus and reflects a commitment to sustainability, among others.… https://t.co/tHFo7M4Abh
— Narendra Modi (@narendramodi) January 7, 2026
દરિયાઈ સુરક્ષા અને મહિલા સશક્તિકરણનો સંગમ
જહાજ માત્ર પ્રદૂષણ નિયંત્રણ પૂરતું મર્યાદિત નથી; તે 30 મીમી CRN-91 ગન અને બે રિમોટ-કંટ્રોલ ગનથી સજ્જ છે, જે તેને દરિયાકાંઠાના પેટ્રોલિંગ અને દરિયાઈ કાયદાના અમલીકરણ માટે પણ અસરકારક બનાવે છે. એક મહત્વપૂર્ણ પગલા તરીકે, આ અગ્રણી જહાજ પર બે મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતીય તટ રક્ષક દળમાં સર્વસમાવેશકતા અને લિંગ સમાનતાની દિશામાં એક મોટો સંદેશ છે.
આ જહાજ હવે કોચીમાં તૈનાત કરવામાં આવશે અને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) ની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે દરિયાઈ ઇકોસિસ્ટમના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
