પાકિસ્તાનમાં મોટા ઉલટફેરના સંકેત: ઈમરાન ખાનની બગડતી તબિયત વચ્ચે સેના અને સરકાર એક્શનમાં, શું કોઈ મોટી ‘ડીલ’ પાર પડશે?
પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જેલવાસ ભોગવી રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત નાજુક હોવાના અહેવાલો વચ્ચે પાકિસ્તાની સત્તાતંત્રમાં હલચલ તેજ થઈ છે. સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરથી લઈને ગૃહમંત્રી મોહસીન નકવી સુધીના શક્તિશાળી ચહેરાઓ સક્રિય થયા છે, જેનાથી પાકિસ્તાની ગલિયારાઓમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ઈમરાન ખાનના ભવિષ્યને લઈને પડદા પાછળ કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
આંખની રોશની ગુમાવવાનો ખતરો: સુપ્રીમ કોર્ટનો ચોંકાવનારો અહેવાલ
અદિયાલા જેલમાં બંધ પીટીઆઈ (PTI) ચીફ ઈમરાન ખાન હાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના તાજેતરના અહેવાલ મુજબ, ઈમરાન ખાનની એક આંખની રોશની જતી રહી હોવાની આશંકા છે. ઓક્ટોબર ૨૦૨૫ પછી તેમની આંખની સમસ્યા સતત વકરી રહી છે. કોર્ટ દ્વારા નિયુક્ત વરિષ્ઠ વકીલ સલમાન સફદરે જેલની મુલાકાત લીધા બાદ પુષ્ટિ કરી છે કે પૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક અને અત્યાધુનિક સારવારની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે પણ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, “જો સામાન્ય કેદીઓને સારવાર મળી શકતી હોય, તો ઈમરાન ખાનને કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે?” કોર્ટની કડક સૂચના અને ડેડલાઈન છતાં હજુ સુધી સંતોષકારક તબીબી સુવિધા પૂરી પાડવામાં ન આવતા ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે પણ ખેંચતાણ વધી છે.
જનરલ આસિમ મુનીર અને મોહસીન નકવીની સક્રિયતા
ખૈબર પખ્તુનખ્વાના પૂર્વ મુખ્યમંત્રી અલી અમીન ગંડારપુરના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાનના સારા ઈલાજ માટે ગૃહમંત્રી મોહસીન નકવીએ સીધો સંપર્ક સેના પ્રમુખ આસિમ મુનીર સાથે સાધ્યો છે. મોહસીન નકવી, જેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમને આસિમ મુનીરના અત્યંત નજીકના માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંડારપુર આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર અને પીટીઆઈ વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઈમરાન ખાનને વધુ સારા ઈલાજ માટે દેશની બહાર (સંભવતઃ લંડન અથવા સાઉદી અરેબિયા) મોકલવા માટેની કોઈ ‘વ્યૂહાત્મક ડીલ’ પર વિચારણા ચાલી રહી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતા તરારે પણ સ્વીકાર્યું છે કે આવી અટકળો વહેતી થઈ છે, જોકે આખરી નિર્ણય ઈમરાન ખાનના વલણ પર નિર્ભર રહેશે.
ઈમરાન ખાન પર વધતું વૈશ્વિક અને સ્થાનિક દબાણ
સરકાર અને સેના માટે ઈમરાન ખાનનો મુદ્દો હવે ‘ગળાનું હાડકું’ બની ગયો છે, જેના મુખ્ય ત્રણ કારણો છે:
૧. વૈશ્વિક ક્રિકેટ જગતનું સમર્થન: દુનિયાભરના ૧૪ પૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ સંયુક્ત પત્ર લખીને ઈમરાન ખાનને ‘ક્રિકેટ લેજન્ડ’ ગણાવી તેમને તાત્કાલિક તબીબી સુવિધા આપવાની માંગ કરી છે. આ પત્રથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ રહી છે.
૨. સ્થાનિક લોકજુવાળ: ઈમરાન ખાન જેલમાં હોવા છતાં તેમની લોકપ્રિયતામાં તોતિંગ વધારો થયો છે. લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વધી રહી છે, જે આગામી સમયમાં વર્તમાન સરકાર માટે ખતરો બની શકે છે.
૩. પીટીઆઈનું વિરોધ પ્રદર્શન: ઈસ્લામાબાદની સડકો પર પીટીઆઈના કાર્યકરો અને સાંસદો ઉતરી આવ્યા છે. સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે ૭ સાંસદો સામે દેશદ્રોહના ગુના પણ નોંધ્યા છે, પરંતુ આંદોલન શમવાનું નામ નથી લઈ રહ્યું.
ભ્રષ્ટાચારના આરોપો અને સૈન્ય સાથેની બગાવત
યાદ રહે કે ઈમરાન ખાન વર્ષ ૨૦૨૩થી જેલમાં છે. તેમના પર તોશાખાના ભ્રષ્ટાચાર કેસથી લઈને સૈન્ય સ્થાપનો પર હુમલા અને બગાવત કરવા સુધીના ગંભીર આરોપો છે. પાકિસ્તાન આર્મી અને ઈમરાન ખાન વચ્ચેના સંબંધો ક્યારેય નહોતા તેટલા નીચલા સ્તરે પહોંચ્યા છે. આવી સ્થિતિમાં, જો સેના કોઈ ડીલ માટે તૈયાર થાય છે, તો તે પાકિસ્તાનના ઈતિહાસની સૌથી મોટી રાજકીય સમજૂતી માનવામાં આવશે.

