INS તારાગિરી આજે નૌકાદળમાં સામેલ: હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે, દુશ્મનો પર રાખશે બાજ નજર
ભારતીય નૌકાદળ આજે પોતાની સૈન્ય શક્તિમાં એક મોટો વધારો કરવા જઈ રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘સ્ટીલ્થ ફ્રિગેટ’ INS તારાગિરી (F-41) ને આજે વિશાખાપટ્ટનમ ખાતે વિધિવત રીતે નૌકાદળના બેડામાં સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ ઉપસ્થિત રહેશે. બપોરે 12 થી 1:30 વાગ્યાની વચ્ચે આ યુદ્ધજહાજ દેશની સેવામાં સમર્પિત કરવામાં આવશે.
પ્રોજેક્ટ 17A અને સ્વદેશી નિર્માણ
INS તારાગિરી એ ‘પ્રોજેક્ટ 17A’ (નીલગિરી શ્રેણી) હેઠળ તૈયાર કરવામાં આવેલું નવી પેઢીનું શક્તિશાળી યુદ્ધજહાજ છે. આ ફ્રિગેટનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. આશરે 6,670 ટન વજન ધરાવતું આ જહાજ ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે અગાઉના ડિઝાઇન કરેલા જહાજો કરતા ટેકનોલોજી અને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ ઘણું આગળ છે.
બ્રહ્મોસ મિસાઈલ અને અત્યાધુનિક હથિયારો
આ યુદ્ધજહાજ માત્ર દેખાવમાં જ ભવ્ય નથી, પરંતુ તેની મારક ક્ષમતા પણ અદભૂત છે. તે અત્યાધુનિક સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે, જેના કારણે તે દુશ્મનના રડારમાં સરળતાથી પકડાતું નથી. INS તારાગિરીમાં વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ ‘બ્રહ્મોસ’ પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, આધુનિક સેન્સર્સ અને મલ્ટિ-રોલ યુદ્ધ ક્ષમતાઓને કારણે તે સમુદ્રની સપાટી પર, હવામાં અને સબમરીન વિરોધી અભિયાનોમાં અત્યંત અસરકારક સાબિત થશે.
વ્યૂહાત્મક મહત્વ અને ‘એક્ટ ઈસ્ટ પોલિસી’
હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બદલાતા સુરક્ષા સમીકરણો વચ્ચે INS તારાગિરીનું જોડાણ ભારત માટે ખૂબ જ મહત્વનું છે. નૌકાદળના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ જહાજ ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને મજબૂતી આપશે. પૂર્વી સમુદ્રી ક્ષેત્રમાં ભારતનો પ્રભાવ વધારવા અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે આ ફ્રિગેટ નૌકાદળની ‘ઓપરેશનલ’ ક્ષમતા અને લડાયક સજ્જતામાં મોટો વધારો કરશે.

