ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના ઈંડા બજાર પર સર્જાયેલી ગંભીર અસર: નિકાસ અટકતા ભાવમાં મોટો ઘટાડો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે માત્ર વૈશ્વિક રાજકારણ જ નહીં, પરંતુ ભારતના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતનો ઈંડાનો વેપાર મુશ્કેલીમાં મુકાયો છે. ખાડી દેશોમાં થતી ઈંડાની નિકાસ લગભગ ઠપ થઈ જતાં સ્થાનિક બજારમાં ઈંડાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. કર્ણાટક અને તેલંગાણા જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઈંડાની કિંમત ₹7 થી ઘટીને ₹4.60 સુધી પહોંચી ગઈ છે.
ખાડી દેશોમાં નિકાસ ઠપ થતા વેપારીઓ ચિંતામાં
નેશનલ એગ કોઓર્ડિનેશન કમિટી (NECC) ના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈંડાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. યુદ્ધની સ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ખોરવાઈ ગયા છે. કર્ણાટક, જે દરરોજ 2.2 કરોડ ઈંડાનું ઉત્પાદન કરે છે, ત્યાંથી તમિલનાડુના નામક્કલ પ્લાન્ટ દ્વારા ખાડી દેશોમાં ઈંડા મોકલવામાં આવે છે. સામાન્ય રીતે અહીંથી દરરોજ 70 લાખથી 1 કરોડ ઈંડા નિકાસ થાય છે, પરંતુ હાલમાં આ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે નિકાસ માટે જઈ રહેલા લાખો ઈંડાના કન્ટેનરોને રસ્તામાંથી જ પરત બોલાવવા પડ્યા છે.
સ્થાનિક બજારમાં મંદીના બેવડા કારણો
માત્ર યુદ્ધ જ નહીં, પણ અન્ય સ્થાનિક પરિબળો પણ ઈંડાના ભાવ ઘટાડવા માટે જવાબદાર છે. હાલમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી અને ઉનાળાની શરૂઆતને કારણે ઈંડાની સ્થાનિક માગમાં પણ ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન અને ઓછી માગને કારણે સ્ટોક વધી રહ્યો છે. ખેડૂતો અને ઉત્પાદકો વધારાના ઈંડાને કોલ્ડ સ્ટોરેજમાં રાખી રહ્યા છે, પરંતુ તેનાથી તેમનો ખર્ચ વધી રહ્યો છે અને નફાનું પ્રમાણ ઘટી રહ્યું છે.
તેલંગાણામાં પણ હાલત કફોડી: ખેડૂતોને આર્થિક ફટકો
તેલંગાણા, જે ભારતમાં ઈંડાના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે, ત્યાં પણ સ્થિતિ ચિંતાજનક છે. હૈદરાબાદ અને તેની આસપાસના હજારો પોલ્ટ્રી ફાર્મમાં દરરોજ કરોડોની સંખ્યામાં ઈંડાનું ઉત્પાદન થાય છે. બે મહિના પહેલા જે ઈંડા ₹8 માં વેચાતા હતા, તેનો ભાવ હવે ઘટીને ₹3.50 થી ₹3.80 ની વચ્ચે આવી ગયો છે. પોલ્ટ્રી ફાર્મ માલિકોના મતે, દરેક ઈંડા પર તેમને અંદાજે ₹1.50 નું નુકસાન થઈ રહ્યું છે.
નિકાસ અટકતા સ્થાનિક નિર્ભરતા વધી
તેલંગાણાથી ઈંડા સામાન્ય રીતે પશ્ચિમ એશિયા અને આફ્રિકાના 40 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલમાં નિકાસની પ્રક્રિયા અત્યંત ધીમી પડી ગઈ છે. વિદેશી માગમાં ઘટાડો થતા ઉત્પાદકોએ હવે સ્થાનિક ગ્રાહકો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. જો યુદ્ધ લાંબો સમય ચાલશે, તો ભારતના પોલ્ટ્રી ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

