જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ઓમિક્રોન સંક્રમિત દર્દી જે ઘરમાં રોકાયા હતા તે જ ઘરમાં ટ્યુશન ક્લાસ ચાલતો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટ્યુશનમાં આવતા સાત જેટલા બાળકોની ઓળખ કરી ટેસ્ટ કર્યા હતા. સાતેય બાળકોને હાલ હોમ આઈસોલેટ કરી દેવામા આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાંથી ઓમિક્રોનનો એક પોઝિટિવ અને બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે તે જ ઘરમાં પાંચ દિવસ સુધી ટ્યુશન ક્લાસ ચાલુ રહ્યા હતા.ગત તા. 28મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ નવા વેરિયંટ ઓમિક્રોનનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.
જેને લઈને રાજ્યભરમાં જામનગર ચર્ચાનો વિષય બની ગયું હતું, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાં નવો વેરિયંટ દર્દી સામે આવ્યા છે તે જ ઘરમાં વધુ બે વ્યક્તિઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં એક તો વૃદ્ધના પત્ની છે અને અન્ય પુરુષએ છે જે એનઆરઆઈ વૃદ્ધ, તેની પત્ની અને પુત્રીને અમદાવાદ એરપોર્ટથી જામનગર સુધી લઇ આવ્યો છે તે વૃદ્ધનો સગો સાળો છે. કોઈ પણ લક્ષણ ન આવવા છતાં બંને કોરોના પોઝિટિવ જાહેર થયા છે ત્યારે આ બંને એમીક્રોન વેરીયંત સંક્રમિત છે કે કેમ તેનો તાગ મેળવવા તંત્રએ બંનેના નમુના ગાંધીનગર લેબમાં મોકલ્યા છે
જે ઘરમાંથી નવા વેરીયંટ વાળા દર્દી સામે આવ્યા છે તે ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું. આ બાબત અહીના કોર્પોરેટર જેનબબેન ખફીને ધ્યાને આવતા ગઈ કાલે જ તેઓએ આરોગ્ય તંત્રનું ધ્યાન દોર્યું છે. આરોગ્યની એક ટીમે ઘરે ટ્યુશન જતા સાત બાળકોને ઓળખી તેનો રીપોર્ટ કરવા આજે કાર્યવાહી કરશે. હજુ કેટલા બાળકો ટ્યુશનમાં આવતા હતા તેનો તાગ મેળવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. તા. 28 નવેમ્બર પછીના દિવસોમાં પણ ટ્યુશન ચાલુ રહ્યું છે. આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ઋજુતા બાળકોના ટ્યુશન વાળી બાબત ગઈકાલે ધ્યાને આવી છે. જેમાં ધોરણ નવ અને દસના નવ બાળકોની ઓળખ મેળવી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. જયારે અન્ય બાળકોની ઓળખ અને પરીક્ષણ કરવા આજે ટીમ કામે લાગશે એમ ઉમેર્યું હતું. ગઈ કાલે સોસાયટીમાં 44 ઘરમાં ડોર ટુ ડોર સર્વે કરી કામગીરી કરી છે જેમાં કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાયા નથી.જામનગર મનપાના કોર્પોરેટર જેનબબેન ખફીએ કહ્યું હતું કે ગઈકાલે જે તે સોસાયટીમાં રહેતા નાગરિકો પાસેથી ટ્યુશન કલાસ વાળી બાબત જાણવા મળી હતી. જેને લઈને મેં તાત્કાલિક કમિશ્નર, આરોગ્ય અધિકારી સહિતનાઓનું ધ્યાન દોર્યું હતું. જેને લઈને ગઈ કાલે આરોગ્યની ટીમે તાત્કાલિક જે તે બાળકોના સરનામાંના આધારે સાત બાળકોના ઘરે જઈ બાળકો અને તેના પરિવારજનો ટેસ્ટ પણ કર્યા છે. બાળકોની બાબત ઘણી ગંભીર કહી શકાય એમ નગરસેવિકા જેનબ ખફીએ ઉમેર્યું હતું.