કિમ જોંગ ઉનનો અસામાન્ય અવતાર: યુક્રેન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતી વખતે થયા ભાવુક
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની છબી સમગ્ર દુનિયામાં એક નિર્દયી તાનાશાહ તરીકે જાણીતી છે. પરંતુ તાજેતરમાં ઉત્તર કોરિયાના સરકારી મીડિયામાંથી આવેલી કેટલીક તસવીરોએ સૌને ચોંકાવી દીધા. આ તસવીરોમાં કિમ જોંગ ઉન આંખોમાં આંસુ સાથે ઘૂંટણિયે બેઠેલા દેખાયા, જ્યાં તેઓ યુક્રેન યુદ્ધમાં શહીદ થયેલા પોતાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે શહીદ સૈનિકોના પરિવારજનોને ગળે લગાવીને આશ્વાસન આપ્યું અને તેમની પીડામાં સહભાગી બન્યા.
“ડીપીઆરકે હીરો”નું સન્માન
આ આખું દ્રશ્ય તે સમયનું છે જ્યારે ઉત્તર કોરિયામાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિમ જોંગ ઉને તે સૈનિકોનું સન્માન કર્યું જેઓ રશિયા સાથે મળીને યુક્રેન વિરુદ્ધ લડાઈમાં મૃત્યુ પામ્યા. સમારોહમાં તેમણે “ડીપીઆરકે હીરો”નો ખિતાબ બહાદુર સૈનિકોને સમર્પિત કર્યો અને તેમની યાદમાં મેડલ અને ફૂલ અર્પણ કર્યા. આ દ્રશ્ય અસામાન્ય એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે ઉત્તર કોરિયાના રાજકારણમાં લાગણીઓ અને કરુણાનું પ્રદર્શન ભાગ્યે જ જોવા મળે છે.
જણાવ્યું કે કિમ જોંગ ઉને વ્યક્તિગત રીતે તે કમાન્ડરોને સન્માનિત કર્યા જેમણે “વિશિષ્ટ પરાક્રમ” દર્શાવ્યું. આ દરમિયાન તેમણે સૈનિકોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમને ખાતરી આપી કે તેમના પ્રિયજનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
પશ્ચિમી દેશોના ગુપ્તચર અહેવાલો
બીજી તરફ, દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે વર્ષ 2024માં ઉત્તર કોરિયાએ 10,000થી વધુ સૈનિકો રશિયા મોકલ્યા છે. તેમાંથી મોટાભાગનાને કુર્સ્ક વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં લગભગ 600 ઉત્તર કોરિયાઈ સૈનિકો રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે. ઉત્તર કોરિયાએ માત્ર સૈનિકો જ નહીં પરંતુ તોપખાનાના ગોળા, મિસાઇલો અને રોકેટ સિસ્ટમ પણ રશિયાને પૂરા પાડ્યા છે.
રશિયા અને ઉત્તર કોરિયાના સંબંધોમાં મજબૂતી
રશિયા અને ઉત્તર કોરિયાના સંબંધોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિકટતા ઝડપથી વધી છે. તાજેતરમાં જ બંને દેશોએ પરસ્પર રક્ષા સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે ઉત્તર કોરિયાઈ સૈનિકોને “વીર” ગણાવ્યા. આ પૃષ્ઠભૂમિમાં કિમ જોંગ ઉનનું ભાવુક થવું માત્ર એક રાજકીય સંદેશ નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે ઉત્તર કોરિયા પોતાના સૈનિકોના બલિદાનને જનતા સમક્ષ સન્માનિત રૂપમાં રજૂ કરવા માંગે છે.
કિમનું આ રૂપ ભલે બાહ્ય દુનિયા માટે ચોંકાવનારું હોય, પરંતુ એ સ્પષ્ટ છે કે રશિયા-યુક્રેન યુદ્ધે ઉત્તર કોરિયાને સીધી રીતે પ્રભાવિત કર્યો છે અને હવે ત્યાંના સૈનિકોના બલિદાનનો પ્રચાર કરીને રાજકીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

