PM મોદીનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મોટું નિવેદન: દિલ્હીમાં રજૂ કર્યું ભારતનું ‘MANAV’ વિઝન, જાણો શું છે તેનો અર્થ
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ સમક્ષ ભારતનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટેનું વિઝન રજૂ કર્યું હતું. પીએમ મોદીએ આ ટેકનોલોજીને માનવ ઈતિહાસનું એક ઐતિહાસિક પરિવર્તન ગણાવ્યું અને ‘MANAV’ શબ્દ દ્વારા તેના પાંચ મુખ્ય સિદ્ધાંતો સમજાવ્યા હતા.
શું છે ‘MANAV’ વિઝન?
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે AI માત્ર મશીનોને બુદ્ધિશાળી બનાવવા માટે નથી, પરંતુ માનવ ક્ષમતાઓમાં અનેકગણો વધારો કરવા માટે છે. તેમણે ‘MANAV’ ને એક ટૂંકાક્ષર (Acronym) તરીકે સમજાવતા પાંચ સ્તંભો ગણાવ્યા:
- M (Moral and Ethical System): નૈતિક અને મૂલ્ય આધારિત પ્રણાલી.
- A (Accountable Governance): જવાબદાર શાસન વ્યવસ્થા.
- N (National Sovereignty): રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, ખાસ કરીને ડેટા પરનો અધિકાર.
- A (Accessible and Inclusive): દરેક માટે સુલભ અને સર્વસમાવેશક ટેકનોલોજી.
- V (Valid and Legitimate): માન્ય અને કાયદેસરની સિસ્ટમ.
વાયરલેસ કમ્યુનિકેશન સાથે કરી સરખામણી
પીએમ મોદીએ AI ની સરખામણી વાયરલેસ કમ્યુનિકેશનની શોધ સાથે કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે પહેલીવાર વાયરલેસ સિગ્નલ મોકલવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે એક દિવસ આખી દુનિયા રિયલ ટાઇમમાં જોડાઈ જશે. AI પણ આવું જ પરિવર્તન છે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે તો માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે હવે આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં મનુષ્ય અને ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ સાથે મળીને કામ કરશે અને વિકસિત થશે.
ભારત મંડપમમાં વિશ્વના દિગ્ગજોનો જમાવડો
16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારી આ પાંચ દિવસીય સમિટમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સહિત વિશ્વભરના 500 થી વધુ AI લીડર્સ અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ ઈવેન્ટમાં 150 સંશોધકો અને 400 થી વધુ ટેકનોલોજી ઓફિસર્સ પણ હાજર રહ્યા છે, જે ભવિષ્યની ટેકનોલોજીના રોડમેપ પર ચર્ચા કરી રહ્યા છે.

