બંગાળમાં મધ્યરાત્રિએ હાઈવોલ્ટેજ ડ્રામા: મમતા બેનર્જી 4 કલાક સ્ટ્રોંગરૂમમાં રહ્યા, TMCનો ‘ઈવીએમ છેડછાડ’નો આક્ષેપ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ગુરુવારે મોડી રાત્રે કોલકાતામાં ભારે રાજકીય નાટક જોવા મળ્યું. ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે તેવી આશંકા સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્ટ્રોંગરૂમની સુરક્ષા તપાસવા પહોંચી ગયા હતા. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના (TMC) દિગ્ગજ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
સ્ટ્રોંગરૂમમાં મમતા બેનર્જીની એન્ટ્રી અને સેન્ટ્રલ ફોર્સ સાથે ઘર્ષણ
ગુરુવારે સાંજે જ્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, તેના થોડા જ સમય બાદ મમતા બેનર્જી કોલકાતાની સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે બનાવેલા ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. આ કેન્દ્રમાં ભવાનીપુર વિધાનસભા બેઠકના ઈવીએમ રાખવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે પક્ષના અધિકૃત પ્રતિનિધિઓની ગેરહાજરીમાં બેલેટ બોક્સ ખોલવામાં આવ્યા છે.
જ્યારે તેઓ સ્ટ્રોંગરૂમમાં પ્રવેશવા ગયા ત્યારે કેન્દ્રીય દળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને ભારે બોલાચાલી થઈ હતી. મમતા બેનર્જી લગભગ ચાર કલાક સુધી સ્ટ્રોંગરૂમની અંદર રહ્યા હતા અને મધ્યરાત્રિએ 12:07 વાગ્યે બહાર આવ્યા હતા. બહાર આવ્યા બાદ તેમણે આક્રમક તેવરમાં કહ્યું, “લોકોના મતોની રક્ષા કરવી અમારી જવાબદારી છે. જો ગણતરી પ્રક્રિયામાં છેડછાડ કરવાનો કોઈ પ્રયાસ થશે, તો તે સહન કરવામાં આવશે નહીં.”
શુવેન્દુ અધિકારીનો પલટવાર: “મારી નજર મમતા પર હતી”
બીજી તરફ, ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મમતા બેનર્જી સ્ટ્રોંગરૂમની અંદર હતા, ત્યારે તેમના (શુવેન્દુના) ચૂંટણી એજન્ટ એડવોકેટ સૂર્યનિલ દાસ ત્યાં જ હાજર હતા અને મમતા બેનર્જી પર સતત નજર રાખી રહ્યા હતા.
શુવેન્દુએ કટાક્ષ કરતા કહ્યું કે, “ભલે ગમે તેટલા કલાકો તેઓ અંદર રહ્યા હોય, પણ મારા એજન્ટની કડક દેખરેખને કારણે તેઓ કોઈ અયોગ્ય પ્રવૃત્તિ કરી શક્યા નથી. તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે, પણ નિયમોની બહાર કશું કરી શકશે નહીં.”
નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ બહાર ધરણા અને ઈમેલ વિવાદ
આ ડ્રામા માત્ર ભવાનીપુર પૂરતો મર્યાદિત નહોતો. કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ બહાર પણ તૃણમૂલના નેતાઓએ ધરણા કર્યા હતા. બંગાળના મંત્રી શશી પાંજા અને પ્રવક્તા કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે અચાનક ઈમેલ મોકલીને જણાવ્યું કે સ્ટ્રોંગરૂમ ફરીથી ખોલવામાં આવશે.
કુણાલ ઘોષે જણાવ્યું કે, “અમારા કાર્યકરો બપોરે 3:30 વાગ્યા સુધી ત્યાં જ હતા. તેઓ ગયા કે તરત જ 4 વાગ્યે સ્ટ્રોંગરૂમ ખોલવાની જાણકારી આપવામાં આવી. આમાં ચોક્કસ કોઈ કાવતરું છે, કારણ કે અમને અંદર જવા દેવામાં આવતા નથી પરંતુ ભાજપના લોકોને આમંત્રણ અપાઈ રહ્યું છે.” શશી પાંજાએ સવાલ ઉઠાવ્યો હતો કે આટલી સંવેદનશીલ જગ્યા ખોલતા પહેલા તમામ રાજકીય પક્ષોને પૂરતી જાણ કેમ કરવામાં આવી નથી?
ચૂંટણી પંચ અને ભાજપની સ્પષ્ટતા
ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પંચે એક નિવેદન જારી કરીને કહ્યું કે તમામ પ્રક્રિયાઓ કાયદેસર રીતે કરવામાં આવી છે અને ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પંચના જણાવ્યા મુજબ, મતદાન મટિરિયલ જમા કરવાની પ્રક્રિયા વહેલી સવારે 5:15 વાગ્યે પૂર્ણ થઈ હતી અને તે સમયે જ સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ, ભાજપના નેતા તાપસ રોય અને અમિત માલવિયાએ આ ઘટનાને મમતા બેનર્જીની હારનો ડર ગણાવ્યો છે. અમિત માલવિયાએ કહ્યું કે, “મમતા બેનર્જીનો આ ડ્રામા બંગાળનો સૌથી મોટો ‘એક્ઝિટ પોલ’ છે. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ હારથી ડરી ગયા છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે.”
4 મે ના રોજ મહામુકાબલાનું પરિણામ
બંગાળની 294 બેઠકો માટે આ વખતે અભૂતપૂર્વ રસાકસી જોવા મળી રહી છે. ભાજપે સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, જ્યારે મમતા બેનર્જી ત્રીજી વખત સત્તામાં વાપસી કરવા માટે મક્કમ છે. 29 એપ્રિલે મતદાનના અંતિમ તબક્કા બાદ હવે આખા દેશની નજર 4 મે ના પરિણામો પર છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 4 મે ના રોજ સવારે ગણતરી શરૂ થશે.

