માઇક્રોસોફ્ટ અને મેટામાં નોકરીઓ પર સંકટ! જો તમે પણ આઈટી ક્ષેત્રમાં છો, તો વાંચી લેજો આ અહેવાલ
વૈશ્વિક ટેકનોલોજી સેક્ટરમાં અત્યારે એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન અને સંસાધનો પરંપરાગત સોફ્ટવેર અને સોશિયલ મીડિયા બિઝનેસમાંથી હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ લગાવી રહી છે. આ આંધળી દોડ અને બિઝનેસ મોડલના પરિવર્તનનો સૌથી મોટો આંચકો ત્યાં કામ કરતા કર્મચારીઓને લાગી રહ્યો છે. તાજેતરમાં જ ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn) દ્વારા મોટા પાયે કર્મચારીઓની છંટની (Layoffs) અને સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ટેક કંપનીઓ ભવિષ્યના બજાર માટે પોતાને તૈયાર કરવા માટે કેટલી હદ સુધી આકરા નિર્ણયો લઈ રહી છે.
મેટા (Meta) નો વિરાટ પ્લાન: ૮,૦૦૦ કર્મચારીઓની છંટની અને AI તરફ પ્રયાણ
માર્ક ઝુકરબર્ગની કંપની મેટા એક બહુ મોટા સ્તરની પુનઃરચના (Restructuring) કરવા જઈ રહી છે. આ પ્લાન અંતર્ગત કંપની પોતાના કુલ વર્કફોર્સના લગભગ ૧૦ ટકા કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરશે. પરંતુ, આ વાર્તાનો બીજો સિક્કો એ છે કે કંપની આ છંટનીની સાથે સાથે પોતાના આશરે ૭,૦૦૦ જેટલા વર્તમાન કર્મચારીઓને એઆઈ-કેન્દ્રિત (AI-Focused) ભૂમિકાઓમાં શિફ્ટ કરી રહી છે.
મેટા આ કર્મચારીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરવા માટે ચાર નવી વિશેષ એઆઈ સંસ્થાઓમાં વિભાજિત કરશે. આ વ્યૂહાત્મક ફેરફારનો મુખ્ય હેતુ એઆઈ ટેકનોલોજીમાં રોકાણ વધારવાનો અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સને વધુ આધુનિક બનાવવાનો છે.
આકરા નિર્ણયો અને આંતરિક મેમોની વિગતો
આ પુનઃરચના ભાગરૂપે મેટામાંથી આશરે ૮,૦૦૦ કર્મચારીઓની છંટની કરવામાં આવશે, જ્યારે કંપનીમાં ખાલી પડેલી લગભગ ૬,૦૦૦ નવી જગ્યાઓ (Open Positions) ને હવે ક્યારેય ભરવામાં નહીં આવે. મેટાએ આ વર્ષના એપ્રિલ મહિનામાં જ એક આંતરિક મેમો દ્વારા આ પ્લાનની રૂપરેખા તૈયાર કરી લીધી હતી.
મેટાના હેડ ઓફ પીપલ (માનવ સંસાધન વડા) જેનેલ ગેલ દ્વારા લખાયેલા મેમોમાં જણાવાયું હતું કે, “અમે કંપનીને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવા અને અન્ય ક્ષેત્રોમાં (ખાસ કરીને AI માં) થઈ રહેલા મોટા રોકાણોના ખર્ચને સરભર કરવા માટે આ પગલું ભરી રહ્યા છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ કોઈ સરળ નિર્ણય નથી. આનો અર્થ એ છે કે આપણે એવા સાથીદારોને ગુમાવવા પડશે જેમણે મેટાના વિકાસમાં બહુમૂલ્ય અને સાર્થક યોગદાન આપ્યું છે.” આ છંટનીથી પ્રભાવિત થનારા કર્મચારીઓને ઇમેઇલ દ્વારા વિગતવાર માહિતી મોકલવામાં આવી રહી છે.
મેટાના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) સુસાન લીએ કંપનીના ફર્સ્ટ ક્વાર્ટરના પરિણામો દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, કંપની અત્યારે એન્જિનિયરિંગ આઉટપુટ અને કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
અબજો ડોલરનો આંધળો ખર્ચ અને રોકાણકારોની ચિંતા
એઆઈ રેસમાં આગળ નીકળવા માટે મેટાએ તેના મૂડી ખર્ચ (Capital Expenditure) ના અંદાજને અસાધારણ રીતે વધારી દીધો છે. કંપનીએ વર્ષ ૨૦૨૬ માટે પોતાના કેપેક્સ ગાઇડન્સને અગાઉના ૧૧૫-૧૩૫ અબજ ડોલરથી વધારીને ૧૨૫ થી ૧૪૫ અબજ યુએસ ડોલર કરી દીધું છે. કંપનીએ આ પાછળ કમ્પ્યુટર કમ્પોનન્ટ્સની વધતી કિંમતો અને એઆઈના વિસ્તરણ માટે જરૂરી મોટા ડેટા સેન્ટર્સના નિર્માણ ખર્ચને જવાબદાર ગણાવ્યો છે.
પરંતુ, આટલા મોટા રોકાણ છતાં વોલ સ્ટ્રીટ અને શેરબજારના રોકાણકારો ખુશ નથી, બલ્કે તેમની ચિંતા વધી ગઈ છે.
-
શેરમાં ઘટાડો: મેટાના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, અને એપ્રિલમાં કમાણીની જાહેરાત થઈ ત્યારથી જ શેર ૧૦ ટકા જેટલો તૂટ્યો છે.
-
રેટિંગમાં ઘટાડો: વૈશ્વિક નાણાકીય સંસ્થા જેપી મોર્ગન ચેઝ (JPMorgan Chase) ના વિશ્લેષકોએ મેટાના શેરના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે. તેમનું કહેવું છે કે એઆઈ રેસમાં અન્ય હરીફોની સરખામણીએ મેટા માટે રોકાણ પર વળતર (Returns) મેળવવાનો રસ્તો ઘણો પડકારજનક અને લાંબો છે.
-
સ્થિરતા પર સવાલ: બેંક ઓફ અમેરિકાના વિશ્લેષકોએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આટલા મોટા પાયે થઈ રહેલું એઆઈ રોકાણ લાંબા ગાળા માટે વ્યવહારુ અને ટકાઉ (Sustainable) રહેશે ખરું?
આંકડા દર્શાવે છે કે માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં મેટાના કુલ કર્મચારીઓની સંખ્યા ૭૭,૯૮૬ હતી, જે વર્ષ ૨૦૨૨ માં ૮૬,૪૮૨ કર્મચારીઓ હતી. એટલે કે કંપની સતત પોતાનું કદ નાનું કરી રહી છે.
લિંક્ડઇન (LinkedIn) માં પણ છંટની: ૬૦૦ થી વધુ કર્મચારીઓ મુક્ત
પ્રોફેશનલ પ્લેટફોર્મ લિંક્ડઇને પણ ૬૦૦ થી વધુ કર્મચારીઓની કાયમી છંટની કરવાની જાહેરાત કરી છે. સત્તાવાર વોર્ન (WARN) ફાઇલિંગ અનુસાર, ૬૦૬ લિંક્ડઇન કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાની નોટિસ આપી દેવામાં આવી છે, જે આગામી ૧૩ જુલાઈથી અમલમાં આવશે.
આ છંટનીની સૌથી મોટી અસર કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યુ સ્થિત લિંક્ડઇનની મુખ્ય ઓફિસ પર પડી છે, જ્યાંથી ૩૫૨ કર્મચારીઓ અને તે જ શહેરમાં વસતા ૬૬ રિમોટ (વર્ક ફ્રોમ હોમ કરતા) કામદારોને કાઢી મૂકાયા છે. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોમાં ૧૦૮, સનીવેલમાં ૫૯ અને કાર્પિન્ટેરિયામાં ૨૧ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.
લિંક્ડઇનના સીઇઓ ડેનિયલ શાપેરોએ કર્મચારીઓને મોકલેલા આંતરિક મેમોમાં જણાવ્યું છે કે, “આપણે આપણા કામ કરવાની પદ્ધતિની પુનઃશોધ (Reinvent) કરવી પડશે અને આપણું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લાંબા ગાળાની પ્રાથમિકતાઓ તરફ વાળવું પડશે.” કંપની માર્કેટિંગ, એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને અન્ય બિઝનેસ વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. ઓફિસ સ્પેસ, ગ્રાહક ઇવેન્ટ્સ અને માર્કેટિંગ ઝુંબેશો પાછળ થતા ખર્ચમાં પણ ભારે કાપ મૂકવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે લિંક્ડઇને તાજેતરમાં જ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં વાર્ષિક ધોરણે ૧૨ ટકાનો આવક ગ્રોથ નોંધાવ્યો હોવા છતાં આ છંટની કરવામાં આવી છે.
માઇક્રોસોફ્ટ (Microsoft) નો બાયઆઉટ પ્રોગ્રામ
લિંક્ડઇનની પેરન્ટ કંપની માઇક્રોસોફ્ટે પણ પોતાના ખર્ચને નિયંત્રિત કરવા માટે એક મોટો પ્લાન જાહેર કર્યો છે. માઇક્રોસોફ્ટે તેના ૧,૨૫,૦૦૦ કર્મચારીઓમાંથી લગભગ ૭ ટકા એટલે કે આશરે ૮,૭૫૦ કર્મચારીઓ માટે ‘બાયઆઉટ ઓફર્સ’ (સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા વળતર યોજના) ની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ મુખ્યત્વે એવા વરિષ્ઠ કર્મચારીઓ માટે છે જેઓ પોતાની ઉંમર અને કંપનીમાં વિતાવેલા વર્ષોના આધારે વહેલી નિવૃત્તિ (Early Retirement) માટે પાત્ર છે.

