મુંબઈ-પુણે જતાં પહેલાં આ જરૂર વાંચજો! કરોડોનો નવો ‘મિસિંગ લિંક’ રોડ પહેલા જ વરસાદમાં ધરાશાયી!
મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરીને ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે હમણાં જ શરૂ કરાયેલો કરોડો રૂપિયાનો ડ્રીમ પ્રોજેક્ટ ચોમાસાના પહેલા જ જોરદાર વરસાદમાં હાંફી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશરે રૂ. ૬,૬૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા મુંબઈ-પુણે એક્સપ્રેસવે ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયાને હજુ માંડ નવ અઠવાડિયાં (બે મહિના) થયા છે, ત્યાં જ એક મોટા ભૂસ્ખલનને કારણે આ આખો નવો કોરિડોર આંશિક રીતે બંધ કરવો પડ્યો છે. આ દુર્ઘટનાને કારણે વાહનોને ફરીથી જૂના મુંબઈ-પુણે હાઈવે તરફ વાળવાની ફરજ પડી છે, જેને બાયપાસ કરવા માટે જ આ અબજો રૂપિયાનો નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો.
આ આખો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના સૌથી મહત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક ગણાય છે. ખંડાલા ઘાટના અકસ્માત પ્રણવ અને ટ્રાફિકથી ખદબદતા વિસ્તારથી કાયમી મુક્તિ મેળવવા માટે આ એક સુરક્ષિત, ઝડપી અને ભરોસાપાત્ર વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ ચોમાસાની પરીક્ષામાં જ આ હાઈવે નાપાસ થતાં તેની માળખાકીય મજબૂતી અને ઉતાવળે કરાયેલા લોકાર્પણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ‘મિસિંગ લિંક’ પ્રોજેક્ટ વાસ્તવમાં શું છે?
મુંબઈ અને પુણે વચ્ચેનો પ્રવાસ ઓછો સમય લેનારો બને અને ખાસ કરીને ચોમાસામાં ઘાટના વિસ્તારોમાં થતા અકસ્માતો તેમજ ટ્રાફિક જામથી બચી શકાય તે માટે ‘મિસિંગ લિંક’ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આખો પ્રોજેક્ટ અદભુત એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો હોવાનો દાવો કરવામાં આવતો હતો, જેમાં વિશાળ ટનલ (સુરોંગ) અને ઊંચા બ્રિજનો સમાવેશ થાય છે. આ લિંક ચાલુ થવાથી મુસાફરોનો અડધો કલાક જેટલો સમય બચે છે અને ખંડાલા ઘાટનો સૌથી જોખમી વળાંક બાયપાસ થઈ જાય છે. સરકાર અને વહીવટીતંત્ર માટે આ એક પ્રતિષ્ઠાનો સવાલ હતો, પરંતુ તેની આયુષ્ય મર્યાદા ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ શંકાના દાયરામાં આવી ગઈ છે.
સોમવારની વહેલી સવારે શું બન્યું?
નવ અઠવાડિયાં પૂર્વે શરૂ થયેલા આ રૂ. ૭,૦૦૦ કરોડના એક્સપ્રેસવે સેક્શન પર સોમવારે વહેલી સવારે કુદરતનો પ્રકોપ અને નબળા પ્લાનિંગનો નમૂનો જોવા મળ્યો. ધોધમાર વરસાદને કારણે પહાડનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો (ભૂસ્ખલન થયું) અને તેને કારણે હાઈવેની સુરક્ષા માટે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ એટલે કે ‘રિટેનિંગ વોલ’ કાગળની જેમ ધરાશાયી થઈ ગઈ.
સ્ટેટ હાઈવે પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે વહેલી સવારે ભારે અને સતત વરસાદને કારણે બની હતી. પુણેથી મુંબઈ તરફ આવતી લેન પર બનેલી પહેલી ટનલના છેડા પાસે આ લેન્ડસ્લાઈડ થયો હતો. દીવાલ તૂટી પડવાને કારણે પહાડ પરથી કાદવ, પથ્થરો અને પાણીનો ભારે પ્રવાહ સીધો હાઈવે પર ધસી આવ્યો હતો. રસ્તો સંપૂર્ણપણે જોખમી બની જતાં સત્તાવાળાઓ પાસે ટ્રાફિક રોકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
વાહનચાલકોની હાલાકી અને તંત્રની લાચારી
આ ભયાનક દુર્ઘટનાને કારણે પુણે-થી-મુંબઈ તરફ જતા વાહનોની ગતિ અટકી ગઈ હતી. સુરક્ષાના કારણોસર વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી આ નવા રૂટ પર વાહનવ્યવહાર સ્થગિત કરી દીધો હતો. જે રસ્તો ટ્રાફિકના કાયમી ઉકેલ માટે કરોડોના ખર્ચે બન્યો હતો, તે જ રસ્તો બંધ થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોવા છતાં, પહાડ પરથી સતત વહી રહેલા પાણીને કારણે કામમાં અવરોધ આવી રહ્યો હતો.

એકસાથે બેવડી આફત: જૂનો હાઈવે પણ ઠપ થયો
મુસાફરો માટે મુશ્કેલી ત્યારે બેવડાઈ ગઈ જ્યારે હાઈવે પોલીસે ટ્રાફિકને જૂના મુંબઈ-પુણે હાઈવે તરફ વાળવાનો પ્રયાસ કર્યો. બરાબર એ જ સમયે જૂના હાઈવે પર પણ ભારે વરસાદને કારણે એક વિશાળ ઝાડ વીજળીના વાયર પર તૂટી પડ્યું હતું. આ ઉપરાંત, જૂના માર્ગ પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાને કારણે ત્યાં પણ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
બંને મુખ્ય માર્ગો એકસાથે પ્રભાવિત થતાં મુંબઈ અને પુણે વચ્ચેનો સંપર્ક એક પ્રકારે તૂટી ગયો હતો. ટ્રાફિક જામની સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે હાઈવે પોલીસ અને સ્થાનિક પ્રશાસને સોશિયલ મીડિયા અને સત્તાવાર યાદી જાહેર કરીને લોકોને અપીલ કરવી પડી હતી કે, “જો ખૂબ જ તાકીદનું કામ ન હોય, તો મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરી હાલ પૂરતી ટાળો અથવા મુલતવી રાખો.”
ભ્રષ્ટાચાર અને ઉતાવળિયા લોકાર્પણ સામે સવાલો
આ ઘટના સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ પ્રોજેક્ટ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરાયો હતો, તો માત્ર નવ અઠવાડિયામાં જ પહાડની દીવાલ કેવી રીતે તૂટી ગઈ? વરસાદની ગણતરી પ્રોજેક્ટના પ્લાનિંગ વખતે કેમ ન કરવામાં આવી?