ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહયા છે ત્યારે તેઓ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પણ તા. 10મી જૂને મુલાકાત લઈ અહીં કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધન કરવાના હોય વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 50 હજારની મેદની એકત્ર થશે.
જે માટે વલસાડ જિલ્લામાંથી 800 બસો ફાળવવામાં આવતા તા 9 અને 10 જૂન એમ 2 દિવસ વલસાડ, નવસારી જિલ્લાના એસ. ટી. બસના અનેક રૂટ રદ્દ કરવામાં આવ્યા છે.
ખુડવેલના કાર્યક્રમ સ્થળે જવા એસ. ટી.ની 800 જેટલી બસો મારફતે 15,000 લોકોને લઈ જવામાં આવશે. જેમાં વલસાડથી 170, પારડીથી 20, ધરમપુર 220, કપરાડા 220, વાપી 20, ઉમરગામ માટે 150 બસો ફાળવવામાં આવી છે. જેને પગલે વાપી ડેપોની માત્ર એક્સપ્રેસ બસો જ દોડશે જ્યારે લોકલ રૂટ બંધ રહેવાના હોય મુસાફરો અટવાશે.
જોકે,એસ.ટી.વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં એસટી બસોની ઘટ પુરવા અમદાવાદથી 50, ભાવનગરથી 20, મહેસાણા 40 વધારાની બસો મંગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.