નેપાળમાં કાળમુખું પૂર: ૩૯૦૦થી વધુ લોકો ગુમ, હોસ્પિટલોમાં જગ્યા ખૂટતાં DNA ટેસ્ટ માટે ભારતીય ટીમ મેદાનમાં!
નેપાળમાં ભોટેકોશી નદીમાં આવેલી વિનાશક ફ્લેશ ફ્લડ (અચાનક આવેલ પૂર)ના કારણે ભારે તબાહી સર્જાઈ છે. હિમાલયના આ ખોળામાં વસેલા દેશમાં કુદરતના આ કૌપને કારણે અત્યાર સુધીમાં ૧,૦૫૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૩,૯૧૬થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક આપત્તિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી ખૂબ જ ઝડપી બનાવી દીધી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૧૬૩ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૫ લોકોનો ઉમેરો થયો છે.
ચિલીમે હાઇડ્રોપાવર ટનલમાં ભારતીય ટીમનું સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન
આપત્તિની આ ઘડીમાં ભારતની ૨૪ સભ્યોની વિશેષ ‘ટનલ રેસ્ક્યૂ ટીમ’ નેપાળના ચિલીમે સ્થિત હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ખૂબ જ જોખમી પરિસ્થિતિમાં કામ કરી રહી છે. પૂરના કારણે ટનલની અંદર ચિચોડા અને કાદવનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, જેના કારણે ભારે અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવો લગભગ અશક્ય બની ગયો છે.
Update on Indian nationals & India’s rescue and relief efforts in Nepal ⬇️
Number of Indians rescued : 163
Number of people who have left China today : 151
🕘 As of 1930 hrs, 01 September 2026 pic.twitter.com/P5QdsocfRK
— Randhir Jaiswal (@MEAIndia) September 1, 2026
અત્યંત સાંકડી જગ્યા અને કાદવ-કીચડથી ભરેલા ટનલના ફ્લોર પર કામ કરવું એ જીવનું જોખમ લેવા સમાન છે. આમ છતાં, ભારતીય ટીમે હાર માન્યા વગર દેશી અને નવીન પદ્ધતિઓ (Improvised Floats) અપનાવીને ટનલના ઊંડા ભાગો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ભારતીય ટીમ નેપાળી સેના સાથે મળીને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે રાત-દિવસ એક કરી રહી છે અને આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે.
મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ અને ફોરેન્સિક સહાય
આ હોનારતમાં જાનમાલનું એટલું મોટું નુકસાન થયું છે કે મૃતદેહોની ઓળખ કરવી સ્થાનિક તંત્ર માટે મોટો પડકાર બની ગઈ છે. આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે ભારતની ૧૯ સભ્યોની સ્પેશિયલ ફોરેન્સિક ટીમ ૨૯ ઓગસ્ટથી જ નેપાળમાં કેમ્પ કરી રહી છે.
ભારતીય ફોરેન્સિક નિષ્ણાતો નેપાળ પોલીસ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને કાઠમંડુના ખુમલટાર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે નેપાળી ટીમ સાથે મળીને કામ કરી રહ્યા છે. મૃતકોની વહેલી તકે ઓળખ થઈ શકે તે માટે ડીએનએ (DNA) સેમ્પલનું ઝડપથી પરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ભારત ઉપરાંત ચીનથી પણ ૪ સભ્યોની ફોરેન્સિક ટીમ પહોંચી છે, જ્યારે સિંગાપોરથી પણ એક આપત્તિ પીડિત ઓળખ (DVI) ટીમ ટૂંક સમયમાં જોડાય તેવી શક્યતા છે.
શબઘરોમાં જગ્યા ખૂટી: કાઠમંડુના જંગલોમાં સમૂહ દફનવિધિ શરૂ
નેપાળમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે દેશભરના હોસ્પિટલના શબઘરો (Morgues) ભરાઈ ગયા છે. સમગ્ર નેપાળમાં માત્ર ૩૫૦ મૃતદેહો રાખવાની ક્ષમતા છે, જ્યારે મૃત્યુઆંક ૧,૦૦૦ને વટાવી ગયો છે. રસુવા અને નુવાકોટ જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી તણાઈ આવેલા મૃતદેહો દેશના અલગ-અલગ ભાગોમાંથી મળી રહ્યા છે.
સ્થિતિ કાબૂ બહાર જતાં નેપાળ સરકારે પોતાના નિયમોમાં સુધારો કરીને બિનવારસી અને અજાણ્યા મૃતદેહોનું વ્યવસ્થાપન શરૂ કર્યું છે. કાઠમંડુના બહારના વિસ્તારમાં આવેલા ગોકર્ણ જંગલમાં સુરક્ષા દળોએ PPE કિટ પહેરીને મૃતદેહોને ટેગ લગાવીને સમૂહમાં દફનાવવાની (Mass Burial) ફરજ પડી રહી છે. બાદમાં જ્યારે પરિવારો તરફથી ડીએનએ મેચ થશે, ત્યારે આ ટેગ અને માર્ક્સની મદદથી મૃતદેહો સગા-સંબંધિઓને સોંપવામાં આવશે.
The 19-member Indian Forensic Team began DNA sample analysis in collaboration with their Nepali counterparts at the Nepal Police Central Forensic Science Laboratory and the National Forensic Science Laboratory, Khumaltar, Kathmandu. The team is working to expedite the processing… https://t.co/tnh3E488HQ
— IndiaInNepal (@IndiaInNepal) September 1, 2026
આંતરરાષ્ટ્રીય મદદ અને મોટા પાયે રાહત કામગીરી
નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક બહાદુર ક્ષેત્રીએ કાઠમંડુમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની, ગુમ થયેલા લોકોને શોધવાની અને પીડિતો સુધી તાત્કાલિક રાહત પહોંચાડવાની છે.” તેમણે ભારત, ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, યુએસ અને યુએઈ જેવા મિત્ર દેશોનો આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.
ચિલીમે અને લાંગટાંગ પ્રોજેક્ટ પર ભારતની ૨૪ સભ્યોની ટીમ કામ કરી રહી છે, તો અપર ત્રિશૂલી ૩A પ્રોજેક્ટ પર ચીનની ૯ સભ્યોની ટેકનિકલ ટીમ નેપાળી આર્મી સાથે મળીને કામ કરી રહી છે.
આંકડાના અરીસામાં નેપાળની આપત્તિ:
કુલ મુક્ત કરાયેલા ભારતીયો: ૧૬૩ (૫ નવા ઉમેરાયા)
કુલ મૃત્યુઆંક: ૧,૦૫૦ (ચિતવનમાં ૩૨૧, નવાલપરાસી ઇસ્ટમાં ૨૧૬, નવાલપરાસી વેસ્ટમાં ૧૭૦, નુવાકોટમાં ૧૪૨ વગેરે)
ગુમ થયેલા લોકો: ૩,૯૧૬
બચાવી લેવાયેલા કુલ લોકો: ૧૧,૯૯૩ (૩૨૪ વિદેશી નાગરિકો સહિત)
તૈનાત સુરક્ષા દળો: ૨૧,૩૧૪ (નેપાળ આર્મી, પોલીસ અને સશસ્ત્ર પોલીસ બળ)
હવાઈ રેસ્ક્યૂ ફ્લાઈટ્સ: ૬૧૦ થી વધુ ચક્કર
અસ્થાયી આશ્રયસ્થાનો (Holding Centres): ૩,૪૫૩થી વધુ વિસ્થાપિત લોકો નુવાકોટ, રસુવા, કાઠમંડુ અને ધાદિંગના કેમ્પમાં આશરો લઈ રહ્યા છે.
બુનિયાદી સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ
ભારે વિનાશ છતાં નેપાળમાં હવે સ્થિતિ ધીમે-ધીમે થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. નેપાળ ટેલિકોમે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ ૧૧૦ ટાવરોનું સમારકામ પૂર્ણ કરી લીધું છે. આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખાધ્યસામગ્રી પહોંચાડવા માટે ૩૭ ટ્રકો અને Bolero વાહનો સતત દોડી રહ્યા છે.
સરકારે અસરગ્રસ્ત સ્થાનિક સંસ્થાઓ અને જિલ્લાઓને કરોડો રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરી છે. કુદરતના આ ભયાનક કોપ સામે નેપાળ અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે, જેમાં ભારત એક સાચા પાડોશી ધર્મને નિભાવીને શક્ય તમામ ટેકનિકલ, વૈજ્ઞાનિક અને માનવતાવાદી મદદ પૂરી પાડી રહ્યું છે.
