G RAM G બિલ શું છે? મનરેગાના બદલાવ સાથે દરેક પરિવારને મળશે 125 દિવસનું કામ, વિપક્ષનો હોબાળો
લોકસભામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ના સ્થાને લાવવામાં આવેલું નવું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ, 2025 ભારે હોબાળા અને વિપક્ષના આકરા વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યું છે. આ બિલના પસાર થવાની સાથે જ દેશના ગ્રામીણ રોજગાર માળખામાં મોટા પાયે ફેરફારો નિશ્ચિત બન્યા છે.
સંસદમાં હંગામો અને વિપક્ષનો આકરો વિરોધ
ગુરુવારે સંસદના નીચલા ગૃહમાં આ બિલ પર ચર્ચા દરમિયાન માહોલ અત્યંત ગરમાયો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહના ‘વેલ’માં ધસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને બિલની નકલો ફાડીને સ્પીકરની ખુરશી તરફ ફેંકી હતી. વિપક્ષનો મુખ્ય આરોપ છે કે સરકાર ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીના નામનો ત્યાગ કરીને તેમના વારસાનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિતના નેતાઓએ સંસદ સંકુલમાં મકર દ્વાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ આ પગલાને “ગરીબ વિરોધી” ગણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો વળતો પ્રહાર
વિપક્ષના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે માત્ર ચૂંટણીલક્ષી ફાયદા માટે ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું:
“શરૂઆતમાં આ માત્ર NREGA હતું અને તેમાં મહાત્મા ગાંધીનું નામ નહોતું. જ્યારે 2009ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી, ત્યારે વોટ મેળવવા માટે કોંગ્રેસને બાપુ યાદ આવ્યા. હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મનરેગાને મજબૂતીથી લાગુ કરી છે.”
ચૌહાણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે ગાંધીજીના આદર્શોની હત્યા કરી છે, જ્યારે એનડીએ સરકારે પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા ગાંધીજીના સપનાઓને સાચા અર્થમાં જીવંત રાખ્યા છે.
નવા બિલની મુખ્ય વિશેષતાઓ અને ફેરફારો
1. રોજગારના દિવસોમાં વધારો:
નવા કાયદા હેઠળ, ગ્રામીણ પરિવારોને મળતી રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. આ ફેરફાર ગ્રામીણ શ્રમિકોની આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી કરવામાં આવ્યો છે.
2. રાજ્યો પર આર્થિક બોજ:
સૌથી મોટો ફેરફાર ફંડિંગ પેટર્નમાં છે. અત્યાર સુધી મનરેગા હેઠળ મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતી હતી. હવે, નવા બિલ મુજબ સામાન્ય રાજ્યોએ 40% ખર્ચ પોતે ભોગવવો પડશે (60:40 રેશિયો). પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે આ રેશિયો 90:10 રહેશે.
3. નોમેટિવ એલોકેશન (નિર્ધારિત ફાળવણી):
આ બિલ ‘માંગ-આધારિત’ મોડલને બદલે ‘નિર્ધારિત ફાળવણી’ પ્રણાલી લાવે છે. કેન્દ્ર સરકાર અગાઉથી નક્કી કરેલા બજેટ મુજબ રાજ્યોને નાણાં આપશે. જો રાજ્યમાં કામની માંગ વધે, તો વધારાનો ખર્ચ રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી કરવો પડશે.
4. ટેકનોલોજી અને એગ્રીકલ્ચર પોઝ:
ભ્રષ્ટાચાર રોકવા માટે બાયોમેટ્રિક હાજરી અને AI આધારિત મોનિટરિંગ ફરજિયાત બનાવાયું છે. સાથે જ, ખેતીની સિઝન (વાવણી-લણણી) દરમિયાન 60 દિવસ માટે કામ રોકવાની જોગવાઈ છે જેથી ખેત-મજૂરોની અછત ન સર્જાય.
સરકારનો દાવો છે કે ‘રામ’ (RAM) નામ સાથે જોડાયેલું આ નવું બિલ ભ્રષ્ટાચારમુક્ત હશે અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. બીજી તરફ, વિપક્ષ તેને સંઘીય માળખા પર પ્રહાર અને ગાંધીજીના વિઝનને નબળું પાડવાનું ષડયંત્ર ગણાવી રહ્યો છે. લોકસભામાં પસાર થયા બાદ હવે આ બિલ રાજ્યસભામાં જશે, જ્યાં પણ આકરા સંઘર્ષના એંધાણ છે.

