માનવીય અભિગમ અપનાવી પાકિસ્તાનમાં કેદ માછીમારોને મુક્ત કરવાની માગ
સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ 197 માછીમારો છેલ્લા છ વર્ષથી પાકિસ્તાનની જેલોમાં બંધ હોવાના મુદ્દે આજે તેમના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. આ પરિવારો માટે આ માત્ર કાનૂની અથવા રાજકીય મુદ્દો નથી, પરંતુ વર્ષોથી ચાલતી માનસિક, આર્થિક અને સામાજિક પીડાનો પ્રશ્ન બની ગયો છે. પરિવારજનો રાજ્ય સરકાર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરીને માંગ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને માનવીય અભિગમ અપનાવી આ તમામ માછીમારોને વહેલી તકે વતન પરત લાવવા માટે અસરકારક પગલાં લે.
શિક્ષણમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત
આ મુદ્દે માછીમારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તથા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને વિસ્તૃત રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે દરિયામાં માછીમારી દરમિયાન અવારનવાર હવામાન, દિશા કે ટેકનિકલ કારણોસર માછીમારો અજાણતાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા ઓળંગી જાય છે. આવા કિસ્સાઓમાં કોઈ ગુનાહિત ઈરાદો ન હોવા છતાં પાકિસ્તાન દ્વારા તેમને ઝડપી લેવામાં આવે છે અને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવે છે. પરિણામે, તેમના પરિવારજનો લાંબા સમયથી અનિશ્ચિતતાની સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.
પરિવાર પર પડતી આર્થિક અને માનસિક અસર
માછીમારોના પરિવારજનોનું કહેવું છે કે પરિવારના મુખ્ય કમાવનારા સભ્યો જેલમાં હોવાના કારણે ઘર ચલાવવું અતિ મુશ્કેલ બની ગયું છે. ઘણા પરિવારો ગંભીર આર્થિક સંકટમાં ફસાયા છે, તો ક્યાંક બાળકોનું શિક્ષણ પણ અધવચ્ચે અટકી ગયું છે. વૃદ્ધ માતા-પિતા પુત્રની વાપસીની આશામાં આંખો પાથરી બેઠા છે, જ્યારે પત્નીઓ અને બાળકો સતત માનસિક તાણમાં જીવન પસાર કરી રહ્યા છે. સરકાર તરફથી સમયાંતરે આશ્વાસન મળતું હોવા છતાં, લાંબા સમયથી કોઈ નક્કર પરિણામ ન આવતાં પરિવારોમાં નિરાશા અને નારાજગી વધી રહી છે.
સરપંચ ભરતકુમાર વાઘજીભાઈની લાગણીસભર અપીલ
આ રજૂઆત દરમિયાન રાજપરા બંદર, ઉના તાલુકા (જિલ્લો સોમનાથ)ના સરપંચ ભરતકુમાર વાઘજીભાઈએ જણાવ્યું હતું કે છ વર્ષનો સમય કોઈ પણ પરિવાર માટે અત્યંત લાંબો અને પીડાદાયક હોય છે. તેમણે કહ્યું કે અમારા માછીમારો કોઈ ગુનાહિત મનસૂબાથી સરહદ ઓળંગતા નથી, પરંતુ દરિયામાં દિશા ભટકવાથી તેઓ પાકિસ્તાનની હદમાં પહોંચી જાય છે. સરકાર માનવીય દૃષ્ટિકોણ અપનાવી આ મુદ્દે ગંભીર અને સતત પ્રયત્ન કરે તેવી તેમણે અપીલ કરી હતી.
અગાઉ પણ થઈ છે રજૂઆત, છતાં રાહ યથાવત
માછીમારોના પરિવારજનોના જણાવ્યા અનુસાર કુલ 197 માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. આ તમામ માછીમારોની યાદી અગાઉ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. આ મુદ્દે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું. છતાં, તમામ માછીમારોની વાપસી હજી સુધી શક્ય બની નથી. હવે પરિવારજનોને આશા છે કે રાજ્ય સરકારની સક્રિય ભૂમિકા અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનથી તેમના સ્વજનોને જલ્દી ન્યાય મળશે.

