કેન્દ્ર સરકાર 1 મહિનામાં ટ્રિબ્યુનલની રચના કરે, તમિલનાડુ-કર્ણાટક પેન્નૈયાર જળ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે પેન્નૈયાર નદીના જળ વિવાદ પર મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને એક મહિનાની અંદર જળ વિવાદ ટ્રિબ્યુનલની (ન્યાયાધિકરણ) રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. તમિલનાડુએ 2018માં કર્ણાટકના નિર્ણયોથી નીચલા પ્રવાહ પર અસર પડતી હોવાનો દાવો કરીને દાવો દાખલ કર્યો હતો.
તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે પેન્નૈયાર નદીના જળ વહેંચણી વિવાદના મામલે સુપ્રીમ કોર્ટે રસ્તો સાફ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે એક મહિનાની અંદર જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ આદેશ આપ્યો છે. કોર્ટે તમિલનાડુ દ્વારા કર્ણાટક વિરુદ્ધ દાખલ કરાયેલા 2018ના કેસમાં આ નિર્દેશ આપ્યો છે.
કન્નડમાં પેન્નૈયાર નદીને ‘દક્ષિણ પિનાકિની’ કહેવામાં આવે છે. તમિલનાડુ સરકારે 2018માં કર્ણાટક સરકાર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તમિલનાડુએ દાવો કર્યો છે કે નદીના ઉપરના ભાગના સંબંધમાં કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે નદીના નીચલા ભાગમાં આવેલા તમિલનાડુમાં પાણીના પ્રવાહ પર ખરાબ અસર પડી છે.
2023માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
કેન્દ્રએ અગાઉ સૂચન આપ્યું હતું કે બંને રાજ્યો વચ્ચે મંત્રી સ્તરની બેઠકો દ્વારા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે, પરંતુ તમિલનાડુએ આ બાબતના નિકાલ માટે ટ્રિબ્યુનલની રચના પર ભાર મૂક્યો હતો. નવેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
2025માં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો
નવેમ્બર 2022માં કોર્ટે વાતચીત દ્વારા વિવાદ ઉકેલવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. અગાઉ જાન્યુઆરી 2019માં કોર્ટે તમિલનાડુ રાજ્યને આ જટિલ મુદ્દાના ઉકેલ માટે ટ્રિબ્યુનલ બનાવવાની માંગ કરવાની મંજૂરી આપી હતી. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ હેતુ માટે વધુ એક સમયમર્યાદા લંબાવી હતી. 2023માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને આ જાણકારી આપી હતી.
કેન્દ્રીય કેબિનેટે હજુ સુધી પેન્નૈયાર જળ વિવાદ ટ્રિબ્યુનલ બનાવવાના પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જોકે, પ્રસ્તાવને કેબિનેટ સચિવાલય મારફતે મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. કોર્ટે ડિસેમ્બર 2025માં આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સિનિયર એડવોકેટ વી. કૃષ્ણમૂર્તિ અને પી. વિલ્સને તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

