વિશ્વભરમાં મોદીના ડંકા! ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ, જાણો શા માટે આ છે ઐતિહાસિક સિદ્ધિ
ભારતીય રાજનીતિના ઈતિહાસમાં ૧૦ જૂન, ૨૦૨૬નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવો સીમાચિહ્નરૂપ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે તેમની લોકપ્રિયતા અને જનતાના તેમનામાં રહેલા અતૂટ વિશ્વાસને દર્શાવે છે. તેઓ ભારતના ઈતિહાસમાં ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરનારા નેતા બની ગયા છે. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીઓ પછીના આંકડાઓને જોતા, તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ૪,૩૯૮ દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
વૈશ્વિક મંચ પર પ્રશંસા અને મિત્રતાનું સન્માન
આ ઐતિહાસિક સિદ્ધિ પર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી વડાપ્રધાન મોદીને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર તેમને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પે મોદીને પોતાના ‘મિત્ર’ ગણાવતા તેમને એક ‘મહાન’ વડાપ્રધાન તરીકે સંબોધ્યા હતા.
માત્ર અમેરિકા જ નહીં, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યાંગ, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ અને ભૂટાનના વડાપ્રધાન ત્શેરિંગ તોબગે જેવા અનેક વૈશ્વિક નેતાઓએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. આ પ્રતિભાવો વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને વડાપ્રધાન મોદીના નેતૃત્વની સ્વીકાર્યતાનું પ્રમાણ છે.
પરિવર્તનકારી ૧૨ વર્ષ: વિકાસ અને સુશાસનની નવી સંસ્કૃતિ
વડાપ્રધાન મોદીના કાર્યકાળને માત્ર સરકાર ચલાવવાના ૧૨ વર્ષ તરીકે નહીં, પરંતુ દેશની રાજકીય અને વિકાસ યાત્રાના એક નિર્ણાયક ચરણ તરીકે જોવામાં આવે છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આ પ્રસંગને ઉજવવા માટે પૂજા-અર્ચના કરી હતી. મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જ્યાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન થયું, ત્યાં તેમના ગૃહ રાજ્ય ગુજરાતના મંદિરોમાં ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.
કેબિનેટની બેઠકમાં પણ આ સિદ્ધિને ગર્વ સાથે આવકારવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આઝાદી પછીના શરૂઆતના દાયકાઓમાં કોંગ્રેસને સ્વતંત્રતા આંદોલનની જે વિરાસતનો લાભ મળ્યો હતો, તેનાથી વિપરીત મોદીનો આ સમયગાળો ‘સ્પર્ધાત્મક લોકશાહી’ અને ‘પરફોર્મન્સ આધારિત રાજનીતિ’નો છે. મોદીએ જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિને પડકારીને ‘વિકાસની રાજનીતિ’ને કેન્દ્રમાં સ્થાપિત કરી છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય
રક્ષામંત્રી રાજનાથ સિંહે મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ગણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજે ભારતની વિદેશ અને સુરક્ષા નીતિ આત્મવિશ્વાસથી ભરેલી છે. ભારત કોઈની સામે ઝૂકતું નથી, પરંતુ કોઈ પડકાર આપે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં પણ પાછું પડતું નથી.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘વિકસિત ભારત-૨૦૪૭’નું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ અભિયાન દેશના યુવાનોમાં એક નવો આત્મવિશ્વાસ પેદા કરી રહ્યું છે. સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન, કનેક્ટિવિટી અને નિકાસ ક્ષેત્રે થયેલી પ્રગતિ આ વાતની સાક્ષી પૂરે છે.
લોકશાહીની મજબૂતી અને જનતાનો વિશ્વાસ
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પત્ર દ્વારા શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે ૪,૩૯૯ દિવસની નિરંતર સેવા એ લોકશાહીની મજબૂતીનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ વડાપ્રધાનને પત્ર લખીને તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં દેશમાં જન-કેન્દ્રિત શાસનની ભાવના વધુ પ્રબળ બની છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, જદયુ પ્રમુખ નીતિશ કુમાર અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દિગ્ગજ નેતાઓએ પણ આ યાત્રાને ‘ભારતની શોધથી લઈને ભારતમાં વિશ્વાસ’ સુધીની સફર ગણાવી છે. કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ તેને જનતાના અટૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું છે.

