મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પુણે જિલ્લાના પાલક પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. પવાર સહિત કુલ 12 જિલ્લાઓ માટે મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. લાંબા સંઘર્ષ બાદ અજિત પવાર ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ પાસેથી પુણે જિલ્લાનો હવાલો લેવામાં સફળ થયા. અજિત પવાર સહિત તેમની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જૂથના નવમાંથી સાત મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
12 જિલ્લાના પ્રભારી મંત્રી
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા 12 જિલ્લાના પ્રભારી મંત્રીઓની સુધારેલી યાદી અનુસાર, ચંદ્રકાંત પાટીલને સોલાપુર અને અમરાવતી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
યાદી અનુસાર, એનસીપીના મંત્રીઓ દિલીપ વાલ્સે પાટીલ, હસન મુશ્રીફ અને ધનંજય મુંડે અનુક્રમે બુલઢાણા, કોલ્હાપુર અને બીડ જિલ્લાના પ્રભારી મંત્રી હશે.
મંત્રીઓ સંજય બંસોડે, ધર્મરાવ બાબા આત્રામ અને અનિલ પાટીલને અનુક્રમે પરભણી, ગોંદિયા અને નંદુરબાર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
યાદી અનુસાર, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મંત્રીઓ સુધીર મુનગંટીવાર, વિજય કુમાર ગાવિત અને રાધાકૃષ્ણ વિખે પાટિલ અનુક્રમે વર્ધા, ભંડારા અને અકોલા જિલ્લાના પ્રભારી મંત્રી હશે.
આ મુજબ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વર્ધા, અકોલા, ભંડારા અને અમરાવતી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.
પ્રભારી મંત્રીઓનું શું કામ?
પ્રભારી મંત્રીની ભૂમિકા જિલ્લા પર વ્યક્તિગત ધ્યાન આપવા અને સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરવાની છે.
નોંધનીય છે કે અજિત પવાર જુલાઈમાં આઠ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયા હતા. તેમણે તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપીના મોટાભાગના ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો અને ચૂંટણી પંચમાં પક્ષના નામ અને પ્રતીક પર દાવો પણ કર્યો હતો. શરદ પવારના જૂથે પણ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર દાવો કર્યો છે.