દવા ખરીદતા પહેલાં સ્કેન કરો: ડ્રગ્સ રૂલ્સ ૧૯૪૫ માં મોટો સુધારો; ૧ જુલાઈ ૨૦૨૭ થી બદલાઈ જશે મેડિકલ સેક્ટરના નિયમો
કેન્દ્ર સરકારે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે ગ્રાહકોની સુરક્ષા અને અસલી દવાઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ભારતમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓના વેચાણ પર કાયમી બ્રેક લગાવવાના હેતુથી હવે તમામ પ્રકારની રસી (વેક્સિન), એન્ટિબાયોટિક્સ, કેન્સરની દવાઓ અને નાર્કોટિક્સ પદાર્થો પર ક્યુઆર (QR) કોડ અથવા બારકોડ લગાવવાનું કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ કડક વ્યવસ્થાને જમીની સ્તરે લાગુ કરવા માટે દાયકાઓ જૂના ‘ડ્રગ્સ રૂલ્સ ૧૯૪૫’ માં મોટો સુધારો કર્યો છે.
અત્યાર સુધી આ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ માત્ર દેશની ટોચની ૩૦૦ દવા બ્રાન્ડ્સ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ હવે તેનો વ્યાપ વધારીને એનડીપીએસ (NDPS) કાયદા હેઠળ આવતી તમામ નાર્કોટિક અને સાયકોટ્રોપિક દવાઓ, જીવરક્ષક કેન્સરની દવાઓ અને તમામ રસીઓ સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
પ્રોડક્ટ પેકેજિંગ પર કઈ માહિતી ઉપલબ્ધ થશે?
નવા જાહેર કરાયેલા નિયમો અનુસાર, દરેક ફાર્માસ્યુટિકલ (દવા ઉત્પાદક) કંપનીએ પોતાની પ્રોડક્ટના પ્રાથમિક પેકેજિંગ પર આ કોડ પ્રિન્ટ કરવો પડશે. જો દવાની બોટલ કે પત્તું નાનું હોય અને ત્યાં જગ્યા મર્યાદિત હોય, તો આ કોડ તેના ગૌણ એટલે કે બહારના બોક્સ (Secondary Packaging) પર મૂકવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે કોઈ ગ્રાહક, ડૉક્ટર કે કેમિસ્ટ આ QR કોડને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરશે, ત્યારે તેને દવા વિશેની તમામ કાનૂની અને તકનીકી વિગતો તુરંત મળી જશે. આ કોડમાં દવાનો યુનિક આઈડેન્ટિફિકેશન કોડ, તેનું જેનેરિક અને બ્રાન્ડ નામ, મેન્યુફેક્ચરિંગ કંપનીનું નામ અને સત્તાવાર સરનામું, બેચ નંબર, દવા બન્યાની તારીખ, એક્સપાયરી ડેટ, ઉત્પાદન લાયસન્સ નંબર અને જરૂરી કિસ્સાઓમાં દવામાં વપરાયેલા તમામ સક્રિય ઘટકોની વિગતવાર માહિતી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે.
નકલી દવાઓની ઓળખ અને પબ્લિક હેલ્થને ફાયદો
સરકારના આ આકરા વલણ પાછળ દેશમાં ચાલતા નકલી દવાઓના ગેરકાયદેસર કારોબારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ વ્યવસ્થાથી ફેક્ટરીથી લઈને દર્દી સુધી પહોંચતી સપ્લાય ચેઈનના દરેક તબક્કે દવાની સત્યતા તપાસવી અત્યંત સરળ અને ઝડપી બની જશે. આ ઉપરાંત, તબીબી જગતમાં ચિંતાનો વિષય બનેલા ‘એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર’ (AMR – એન્ટિબાયોટિક્સની અસર ઓછી થવી) ની ગંભીર સમસ્યાનો સામનો કરવામાં પણ આનાથી મોટી મદદ મળશે. ઘણીવાર નકલી અને નબળી ગુણવત્તાવાળી એન્ટિબાયોટિક દવાઓના કારણે દર્દીના શરીરમાં પ્રતિકૂળ અસરો થતી હોય છે, જેને હવે આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સરળતાથી પકડી શકાશે.
ક્યારથી અમલમાં આવશે આ નવો કાયદો?
ફાર્મા કંપનીઓને પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અપગ્રેડ કરવા અને પેકેજિંગ લાઇનમાં જરૂરી ફેરફાર કરવા માટે સરકાર દ્વારા પૂરતો સમય આપવામાં આવ્યો છે જેથી બજારમાં દવાની અછત ઊભી ન થાય. આ અંતર્ગત, રસી, નાર્કોટિક્સ અને કેન્સરની દવાઓ પર QR કોડ લગાવવાનો આ નિયમ ૧ જુલાઈ, ٢૦૨૭ થી સત્તાવાર રીતે લાગુ થઈ જશે. જ્યારે સામાન્ય જનતા દ્વારા સૌથી વધુ વપરાતી એન્ટિબાયોટિક દવાઓ માટે આ નિયમ આગામી વર્ષે એટલે કે ૧ જુલાઈ, ૨૦૨૮ થી દેશભરમાં ફરજિયાત બનાવવામાં આવશે. સરકારના આ ડિજિટલ કદમથી ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વૈશ્વિક વિશ્વસનીયતામાં પણ મોટો વધારો થવાની અપેક્ષા છે.