હવે નકામી નહીં જાય ₹૨૦૦૦ની નોટ! RBI એ સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી જારી કરી નવી ગાઇડલાઇન
વર્ષ ૨૦૧૬ માં દેશમાં થયેલી ઐતિહાસિક નોટબંધીને કોઈ ભૂલી શકે તેમ નથી. તે સમયે સરકારે જૂની નોટો બંધ કરીને બજારમાં ₹૧૦૦, ₹૨૦૦, ₹૫૦૦ અને નવી ₹૨૦૦૦ ની ગુલાબી નોટ રજૂ કરી હતી, જેથી બજારમાં રોકડની તંગી ન સર્જાય. જો કે, થોડા વર્ષો બાદ સેન્ટ્રલ બેંકે ₹૨૦૦૦ ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું અને ધીમે-ધીમે તેને ચલણમાંથી બહાર (પાછી ખેંચી) કરી દીધી હતી. હાલમાં સામાન્ય બજારમાં કોઈ પણ દુકાનદાર કે વેપારી ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારતા નથી. આ કારણે ઘણા નાગરિકો, જેમની પાસે હજુ પણ ૨૦૦૦ની નોટો ઘરમાં પડી રહી છે, તેઓ ભારે ચિંતામાં મૂકાયા છે. પરંતુ હવે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ નોટો વટાવવા માટે એક ખુબ જ મહત્વનું અને સત્તાવાર અપડેટ જાહેર કર્યું છે.
હજુ પણ કાયદેસર (Legal Tender) છે ₹૨૦૦૦ ની નોટ
આરબીઆઈએ સામાન્ય જનતાની મુંઝવણ દૂર કરવા માટે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ “X” (ટ્વિટર) પર એક વિગતવાર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં બેંકે સ્પષ્ટ કર્યું છે કે, ભલે બજારના સામાન્ય વ્યવહારોમાં આ નોટ બંધ થઈ ગઈ હોય, પરંતુ કાયદાકીય રીતે આ નોટ હજુ પણ સંપૂર્ણપણે માન્ય (Legal Tender) છે. એટલે કે આ નોટો કાગળનો ટુકડો કે નકામી નથી બની ગઈ. જો તમારી પાસે હજુ પણ આવી નોટો સચવાયેલી પડી છે, તો આરબીઆઈ તેને સ્વીકારવા માટે કટિબદ્ધ છે.
Most ₹2000 banknotes in circulation have already been returned, but if you still have one, here's what you should know:
– ₹2000 banknotes continue to be legal tender
– You can exchange them at the 19 RBI Issue Offices
– You can also send them through India Post to any RBI… pic.twitter.com/5k5AShAXSF— ReserveBankOfIndia (@RBI) July 9, 2026
નોટો બદલવા માટે RBI એ સૂચવી આ બે સરળ પદ્ધતિઓ
૧. આરબીઆઈની ઇશ્યૂ ઓફિસની મુલાકાત લો:
જો રોકાણકારો અથવા સામાન્ય નાગરિકો પોતાની ₹૨૦૦૦ ની નોટો બદલવા માંગતા હોય, તો તેઓ દેશભરમાં આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૧૯ ઇશ્યૂ ઓફિસો (RBI Issue Offices) માંથી કોઈ પણ ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ત્યાં કાઉન્ટર પર જઈને આ નોટો સરળતાથી બદલી શકાશે અથવા તમારા ખાતામાં જમા કરાવી શકાશે.
૨. ઈન્ડિયા પોસ્ટ (ટપાલ) દ્વારા ઘેરબેઠા સુવિધા:
ઘણા લોકો એવા છે જેઓ આરબીઆઈની મુખ્ય ઓફિસ સુધી રૂબરૂ જઈ શકે તેમ નથી. આવા નાગરિકો માટે આરબીઆઈએ ભારતીય ટપાલ વિભાગ એટલે કે ‘ઇન્ડિયા પોસ્ટ’ (India Post) સાથે મળીને એક અદભુત વ્યવસ્થા ઊભી કરી છે. તમે દેશના કોઈ પણ ખૂણેથી સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ ટપાલ દ્વારા તમારી ₹૨૦૦૦ ની નોટો સીધી કોઈ પણ આરબીઆઈ ઇશ્યૂ ઓફિસના સરનામે મોકલી શકો છો. આ નોટો ત્યાં પહોંચ્યા બાદ, રિઝર્વ બેંક તપાસ કરીને તે રકમ સીધી તમારા બેંક ખાતામાં સુરક્ષિત રીતે ઓનલાઈન જમા (ક્રેડિટ) કરી દેશે.
અફવાઓથી બચો અને ઓફિશિયલ માહિતી પર વિશ્વાસ કરો
રિઝર્વ બેંકે દેશના નાગરિકોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ચાલતી કોઈ પણ ભ્રામક અફવાઓ કે ખોટી વિગતો પર વિશ્વાસ ન કરવો. જો ગ્રાહકોને નોટ બદલવા અંગે કોઈ પણ પ્રકારની શંકા કે પ્રશ્ન હોય, તો તેઓ હંમેશા આરબીઆઈના સત્તાવાર હેન્ડલ્સ અથવા આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને જ સાચી માહિતી મેળવે. તેથી, જો તમારી તિજોરીમાં પણ હજુ સુધી ૨૦૦૦ની નોટો પડી રહી હોય, તો સમય બગાડ્યા વગર આરબીઆઈની આ સત્તાવાર પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને વહેલી તકે પોતાના બેંક ખાતામાં જમા કરાવી લો.