સાબરમતી નદીમાં જળચર હોનારત: હજારો મૃત માછલીઓના ઢગલાથી અમદાવાદમાં ફેલાયો ફફડાટ
અમદાવાદ: અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદીમાંથી એક અત્યંત ચિંતાજનક અને કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. નદીનું પાણી ખાલી કરવાની કામગીરી બાદ મોટી સંખ્યામાં માછલીઓના કમકમાટીભર્યા મોત થયા હોવાના આક્ષેપોએ ભારે હોબાળો મચાવ્યો છે. નદી કિનારે જ્યાં જુઓ ત્યાં માછલીઓના મૃતદેહોનો ઢગલો નજરે પડી રહ્યો છે.
અસહ્ય દુર્ગંધ અને સ્થાનિકોની મુશ્કેલી
સાબરમતીના કિનારે ફેલાયેલી આ માછલીઓની લાશોને કારણે વાતાવરણમાં ભારે દુર્ગંધ પ્રસરી ગઈ છે. આસપાસના રહીશો અને રિવરફ્રન્ટ પરથી પસાર થતા વાહનચાલકોનું જીવવું હરામ થઈ ગયું છે. અસહ્ય દુર્ગંધને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ આ ઘટનાને ‘જળચર હોનારત’ ગણાવી રહ્યા છે.
મૃત માછલીઓનું બજારમાં વેચાણ? આરોગ્ય સામે ખતરો
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો અને ડરામણો આક્ષેપ એ છે કે, અસામાજિક તત્વો દ્વારા આ મૃત માછલીઓને એકત્ર કરીને તેને ચોરીછૂપીથી બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ ઝેરી અથવા મૃત માછલીઓ લોકોના રસોડા સુધી પહોંચશે, તો તે અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સાબિત થઈ શકે છે. શું શહેરની જનતાના સ્વાસ્થ્ય સાથે આ ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે?
તંત્રની બેદરકારી પર ઉઠતા સવાલો
આ સમગ્ર પ્રકરણ બાદ વહીવટી તંત્રના આયોજન સામે અનેક સવાલો ઉભા થયા છે. નદીનું પાણી ખાલી કરતા પહેલા તંત્ર દ્વારા જળચરોની સુરક્ષા માટે કોઈ પ્લાન કેમ નહોતો ઘડવામાં આવ્યો? વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પણ આ ઘટનાએ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે.
ફૂડ વિભાગની કામગીરી ક્યાં છે?
નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે, શું ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા બજારોમાં તપાસ કરવામાં આવી રહી છે? મૃત માછલીઓનું ગેરકાયદે વેચાણ રોકવા માટે અત્યાર સુધી શું નક્કર કાર્યવાહી કરવામાં આવી છે? પર્યાવરણ અને જનતાના સ્વાસ્થ્ય સાથે રમાતી આ રમત સામે તંત્ર ક્યારે જાગશે અને જવાબદારો સામે ક્યારે કડક કાર્યવાહી થશે, તે જોવું રહ્યું.

