અમદાવાદમાં પોલીસનું મોટું ‘ઓપરેશન ડેલ્ટા’, 300 જેટલા શંકાસ્પદ ઘૂસણખોરો ઝડપાયા
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે આક્રમક અભિયાન છેડ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સૂચના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘ઓપરેશન ડેલ્ટા’ હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને મોટી સંખ્યામાં ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે.
ઓપરેશન ડેલ્ટા: 300 લોકોની અટકાયત
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશનમાં કુલ ૩૦૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ૪૧ પુરુષ, ૯૫ મહિલા અને ૩૦ બાળકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું ફલિત થયું છે. બાકીના લોકોની હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
કયા કયા વિસ્તારોમાં મળ્યા ઘૂસણખોરો?
પોલીસના આ દરોડામાં ખાસ કરીને નારોલ, વટવા, ઓઢવ, ઈસનપુર અને દાણીલીમડા વિસ્તારમાંથી સૌથી વધુ ઘૂસણખોરો મળી આવ્યા છે. આ ઉપરાંત સરખેજ અને નરોડા જેવા વિસ્તારોમાં પણ ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આમાંના કેટલાક લોકો મહિનાઓ પહેલા જ ભારતમાં ઘૂસ્યા હતા.
શું કામ કરતા હતા આ લોકો?
ઝડપાયેલા લોકોની કામગીરી અંગે તપાસ કરતા સામે આવ્યું છે કે, મહિલાઓ મોટાભાગે સ્પા અને પ્રોસ્ટિટ્યુશન (દેહવિક્રય) જેવા વ્યવસાયોમાં સંડોવાયેલી હતી. જ્યારે પુરુષો મુખ્યત્વે ટેલરિંગ, કચરો વીણવા સહિતની મજૂરી કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
સ્થાનિક એજન્ટોની ભૂમિકા અને આગામી કાર્યવાહી
આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ અમદાવાદમાં કેવી રીતે પહોંચ્યા અને તેમને કોણે આશરો આપ્યો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ સમગ્ર નેટવર્કમાં કોઈ સ્થાનિક એજન્ટોની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીની વિગતો મુજબ, તમામ ઘૂસણખોરોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ડિપોર્ટ (સ્વદેશ પરત મોકલવા) કરવામાં આવશે.

