₹20,000 કરોડના ડિફોલ્ટર સાંડેસરા બંધુઓ દ્વારા ₹5100 કરોડ જમા
વડોદરાના બિઝનેસમેન અને બેન્કના 20,000 કરોડના ડિફોલ્ટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગઈકાલે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૃપે ભરવાના થતાં રૃા. 5100 કરોડ જમા કરાવી દઈને તમામ ગુનાઓમાંથી માફી મેળવી લીધી હોવાનું પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. સાંડેસરા બંધુઓ નીતિન અને ચેતન સાંડેસરા 17મી ડિસેમ્બર પહેલા બેન્કોને ચૂકવવા માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ નક્કી કરેલા 5100 કરોડ જમા કરાવી દે તો તેમને તમામ ફોજાદરી કેસોમાં મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્તિ આપી દેવામાં આવશે.
સાંડેસરા બંધુઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઈએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે બંને ભાઈઓએ 5383 કરોડ બેન્કોએ લેવાના નીકળે છે. આ નાણાં તેમણે જમા ન કરાવ્યા હોવાથી તેમણે કુલ મળીને 7777 કરોડ ચૂકવવાના થાય છે. નવમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલી મુદ્તમાં તેમણે 5100 કરોડ જમા કરાવી દેવાની સૂચના આપી હતી. તેને માટે સાંડેસરા બંધુઓને 17મી ડિસેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી હતી. જોકે તેમણે છ ડિસેમ્બર 2025ના દિને જ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં આ રકમ જમા કરાવી દીધી છે, એમ સાંડેસરા બંધુઓના પરિવારના પ્રવક્તાએ પીટીઆઈને નિવેદન આપતા જણાવ્યું હતું.
બેન્કમાંથી પૈસા ઊછીના લીધા પછી સાંડેસરા બંધુઓ દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. પરંતુ 6 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં 5100 કરોડ જમા કારવી દીધા પછી સાંડેસરા બંધુઓ સામે જુદી જુદી કોર્ટમાં થયેલા ફોજદારી કેસો પર પડતો પડી ગયો છે. સરકારી એજન્સીઓએ કરેલા કેસો પણ પૂરા થઈ ગયા છે. સાંડેસરા બંધુઓ આલ્બેનિયાના પાસપોર્ટ પર 2017માં ભારત છોડીને નાસી છૂટયા હતા. 2018ના કાયદા હેઠળ સાંડેસરા બંધુઓ સહિતના 18 બેન્ક ડિફોલ્ટર્સને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા.
સીબીઆઈએ તેમની સામે ફાઈલ કરેલી એફઆઈઆરમાં તેમણે 5383 કરોડ ચૂકવવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2020ની સાલમાં કોર્ટના જ માર્ગદર્શન હેઠળ બેન્કોએ તેમને રૃા. 6761 કરોડ જમા કરાવી દેવાની વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ ઓફર આવી હતી. સાંડેસરા બંધુઓએ આ રકમમાંથી રૃા. 614 કરોડ સમાધાનના ભાગ રૃપે જમા કરાવ્યા હતા. તેમણે ચૂકવવાની થતી રકમના 9થી 10 ટકા રકમ તેમણે જમા કરાવી હતી.
નાદારીના કેસ ચલાવની નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે આ કંપનીની કેટલીક મિલકતો વેચી દઈને 1192 કરોડ જમા લીધા હતા. 2021થી 2025ના ગાળામાં સાંડેસરા પરિવારે 3507 કરોડ જમા કરાવ્યા હતા. આ 3507 કરોડ અને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા આપેલા 5100 કરોડ મળીને કંપનીએ કુલ 7777 કરોડ જમા આપ્યા છે. બેન્કોએ સાંડેસરા બંધુઓ પાસેથી 3826 કરોડ અને ગેરન્ટર તરીકે વિદેશી કંપનીઓએ મળીને 2735 કરોડ લેવાના થાય છે.
સાંડેસરા બંધુઓ પાસેથી લોનના નાણાંની રિકવરી કરવા માટે ધિરાણ આપનારી બેન્કોએ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સીકોડ હેઠળ 2016માં નાણાંની રિકવરીની કામગીરી કરી હતી. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે તેમની મિલકતો વેચીને 1172 કરોડની રિકવર કરીહતી. સાંડેસરા બંધુઓ સામે સીબીઆઈની માફક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ તપાસ ચાલુ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની 10,000 કરોડના મૂલ્યની મિલકતો ટાંચમાં લીધી હતી.

