રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં ૫૧૦ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન, પ્રાકૃતિક ખેતી પર ભાર
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૧મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ગરિમામય પ્રસંગે રાજ્યપાલશ્રીએ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા. યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના કુલ ૫૧૦ વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ આ તકે વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલવા અને પોતાના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રના હિતમાં કરવા પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ
રાજ્યપાલશ્રીએ દીક્ષાંત પ્રવચન દરમિયાન રાસાયણિક ખેતીના નુકસાન અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે, જેને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. આ પ્રસંગે તેમણે “શ્રી અન્ન” પુસ્તકનું વિમોચન કર્યું અને વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરી ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ૯૬ ગામો દત્તક લેવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીની નોંધપાત્ર સિદ્ધિઓ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ સંસ્થાની પ્રગતિનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે ‘એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ ૨૦૨૫-૨૬’માં યુનિવર્સિટીએ દેશમાં ૧૧મો ક્રમ મેળવ્યો છે. યુનિવર્સિટીના ઘઉં અને દિવેલા સંશોધન કેન્દ્રોને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે, જે વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. શિક્ષણની સાથે માળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરાયો છે, જેમાં અરવલ્લીમાં નવું કેવીકે (KVK) અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના જેવા મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે.
રોજગારી આપનાર ‘આંત્રપ્રિન્યોર’ બનવા હાહવાન
દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ ડૉ. સંજીવ ગુપ્તાએ પદવીધારકોને આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર નોકરી શોધવાને બદલે નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરી ‘નોકરી આપનાર’ બનવા પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા ૧૪૦ સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવામાં આવ્યો છે, જે યુવા સાહસિકો માટે ગૌરવની બાબત છે. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષક અને સંશોધનકર્તાઓને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. સમારોહ બાદ રાજ્યપાલશ્રીએ શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પ્રયોગોનું નિરીક્ષણ કર્યું હતું.

