શું પ્રમોટર્સ ગમે ત્યારે શેર ગીરો મૂકી શકે? સેબીએ ડી-માર્ટના કિસ્સામાં કરી આ મોટી સ્પષ્ટતા
ભારતીય શેરબજારના નિયામક સેબીએ (Securities and Exchange Board of India) પ્રમોટર્સ અને કંપનીના ‘નામિત વ્યક્તિઓ’ (Designated Persons) માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સેબીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પ્રમોટર કે અધિકારીએ ફંડ ભેગું કરવા માટે પોતાના શેર ગીરો (Pledge) મૂકવા હોય, તો ટ્રેડિંગ વિન્ડો બંધ હોવા છતાં તેઓ તેમ કરી શકશે. જોકે, આ માટે સેબીએ કેટલીક શરતો પણ મૂકી છે જેનું પાલન કરવું અનિવાર્ય છે.
એવેન્યુ સુપરમાર્ટ્સના કિસ્સામાં સેબીનું માર્ગદર્શન
આ સમગ્ર વિવાદ અને સ્પષ્ટતા ત્યારે સામે આવી જ્યારે પ્રખ્યાત રિટેલ ચેઈન ‘ડી-માર્ટ’ ચલાવતી કંપની એવેન્યુ સુપરમાર્ટ્સે સેબી પાસે માર્ગદર્શન માંગ્યું હતું. કંપનીએ સેબીની ‘ઇન્ફોર્મલ ગાઇડન્સ’ સ્કીમ હેઠળ પૂછ્યું હતું કે શું ટ્રેડિંગ વિન્ડો બંધ હોય તેવા સમયગાળામાં શેર ગીરો મૂકવા કે ગીરોમાંથી મુક્ત કરવા (Revocation) એ ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું ઉલ્લંઘન ગણાશે?
સેબીએ આના જવાબમાં જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) નો ઉપયોગ કરવા અથવા કોઈ અંગત નાણાકીય જરૂરિયાત માટે ફંડ એકઠું કરવા માંગતી હોય, તો તે શેર ગીરો મૂકી શકે છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનને ટ્રેડિંગ વિન્ડોની મર્યાદાઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સૌથી મહત્વની શરત: ‘નેક ઈરાદો’ (Bona Fide Intent)
સેબીએ આ છૂટછાટ આપતા એક અત્યંત મહત્વના શબ્દનો ઉપયોગ કર્યો છે—‘Bona Fide’ એટલે કે ‘નેક ઈરાદો’. સેબીના જણાવ્યા અનુસાર, શેર ગીરો મૂકવાની પ્રક્રિયા ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તે શુદ્ધ હેતુથી કરવામાં આવી હોય.
જોકે, ‘નેક ઈરાદો’ કોને કહેવાય તેની કોઈ નિશ્ચિત વ્યાખ્યા સેબીએ આપી નથી. સેબીનું કહેવું છે કે દરેક કિસ્સાનું મૂલ્યાંકન તેના સંજોગો મુજબ અલગ-અલગ રીતે થવું જોઈએ. આ જવાબદારી કંપનીના ‘કમ્પ્લાયન્સ ઓફિસર’ પર નાખવામાં આવી છે. કોઈપણ પ્રમોટરે શેર ગીરો મૂકતા પહેલા કમ્પ્લાયન્સ ઓફિસરની મંજૂરી લેવી પડશે અને ઓફિસરે ખાતરી કરવી પડશે કે આ વ્યવહાર પાછળનો હેતુ માત્ર ફંડ મેળવવાનો છે, ઇનસાઇડર ટ્રેડિંગનો નહીં.
કોન્ટ્રા ટ્રેડ (Contra Trade) ના નિયમો અને જોખમો
સેબીએ શેર ગીરો રાખવાની સાથે જોડાયેલા એક બીજા જોખમ વિશે પણ ચેતવણી આપી છે. સેબીએ જણાવ્યું કે જો કોઈ કારણસર ગીરો મૂકેલા શેર ‘ઈન્વોક’ (Invocation) કરવામાં આવે—એટલે કે જે સંસ્થા પાસે શેર ગીરો મૂક્યા છે તે સંસ્થા તેને બજારમાં વેચી દે—તો તેને શેરનું વેચાણ જ ગણવામાં આવશે.
આવી સ્થિતિમાં ‘કોન્ટ્રા ટ્રેડ’ ના નિયમો લાગુ થઈ શકે છે. નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિએ શેર ખરીદ્યા કે વેચ્યા હોય, તો તે તેની વિરુદ્ધનો સોદો (ખરીદી સામે વેચાણ અથવા વેચાણ સામે ખરીદી) આગામી 6 મહિના સુધી કરી શકતી નથી. જો ગીરો મુકાયેલા શેરનું વેચાણ 6 મહિનાની અંદર થાય, તો તે નિયમોનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.
કંપનીઓએ શું કરવું પડશે?
સેબીએ સૂચન કર્યું છે કે દરેક કંપનીએ પોતાના ‘કોડ ઓફ કન્ડક્ટ’ (Code of Conduct) માં આવા વ્યવહારોને સ્પષ્ટપણે વર્ગીકૃત કરવા જોઈએ. કંપનીના આંતરિક માળખા હેઠળ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જે દરેક ટ્રાન્ઝેક્શનના સ્વરૂપની ચકાસણી કરી શકે.

