અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ રદ: વડીલોને હેરાન કરતા દીકરા-વહુને ઘરમાંથી કાઢવાની ટ્રિબ્યુનલ પાસે પૂરી સત્તા
દેશના વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને તેમના માન-સન્માન માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વૃદ્ધ માતા-પિતાને હેરાન-પરેશાન કરતા અથવા તેમનું અનાદર કરતા દીકરા અને પુત્રવધૂને પોતાની મિલકત અને ઘરમાંથી કાઢી મૂકવાનો (બેદખલ કરવાનો) પૂરેપૂરો કાનૂની અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના જૂના આદેશને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે સિનિયર સિટીઝન્સ એક્ટ હેઠળ રચાયેલી ટ્રિબ્યુનલ પાસે આવા સંતાનોને ઘરમાંથી બહાર કાઢવાનો આદેશ આપવાની સિવિલ કોર્ટ જેવી જ સત્તા છે.
“ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર મૂળભૂત”
જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતી વખતે ખૂબ જ માર્મિક અને કડક ટિપ્પણી કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે, કોઈપણ સભ્ય સમાજનું ધોરણ અને તેની ઓળખ એ વાત પરથી નક્કી થાય છે કે તે સમાજ પોતાના વડીલોને કેટલું સન્માન, ગરિમા અને સુરક્ષા પૂરી પાડે છે. ઉંમર વધવાનો અર્થ એ જરાય નથી કે વ્યક્તિએ પોતાના જ ઘરમાં અપમાન અને અસુરક્ષા વચ્ચે જીવવું પડે. દુનિયાની દરેક વ્યક્તિને આખી જિંદગી ગૌરવ સાથે જીવવાનો પૂરેપૂરો હક છે અને કાયદાનો મુખ્ય હેતુ વડીલોની આ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
શું હતો સમગ્ર કાનૂની વિવાદ?
આ સમગ્ર કાનૂની લડાઈની શરૂઆત ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત વિકાસ નગરના રહેવાસી રવિકાંત ગુપ્તાના એક કેસથી થઈ હતી. રવિકાંત ગુપ્તાએ જૂન ૨૦૨૨માં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સમક્ષ અરજી કરીને પોતાના પુત્ર અને પુત્રવધૂને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવાની માંગ કરી હતી. આ મિલકત રવિકાંત ગુપ્તાની પોતાની કમાણીની માલિકીની હતી. ઘરમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ગુપ્તાની ૮૧ વર્ષની વૃદ્ધ માતાને પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા જવા મજબૂર થવું પડ્યું હતું.
SDM થી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની સફર
મામલાની ગંભીરતા જોઈને નવેમ્બર ૨૦૨૨માં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) એ દીકરાને ઘર ખાલી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો, જેને ઓગસ્ટ ૨૦૨૩માં જિલ્લા મેજિસ્ટ્રેટે પણ માન્ય રાખ્યો હતો. જોકે, આ આદેશ સામે દીકરો અને પુત્રવધૂ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે મેજિસ્ટ્રેટના આદેશને રદ કરતા એવો ચુકાદો આપ્યો હતો કે ૨૦૦૭ નો સિનિયર સિટીઝન કાયદો વૃદ્ધોને તેમના બાળકોને મિલકતમાંથી કાઢી મૂકવાનો કોઈ સીધો અધિકાર આપતો નથી.
આ નિર્ણયને જ્યારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે ટ્રિબ્યુનલના કાયદેસરના આદેશમાં દખલગીરી કરીને હાઈકોર્ટે મોટી ભૂલ કરી છે.
ટ્રિબ્યુનલ પાસે તમામ કાનૂની સત્તાઓ ઉપલબ્ધ
સુપ્રીમ કોર્ટે કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ કરતા જણાવ્યું કે સિનિયર સિટીઝન કાયદાની કલમ ૭ હેઠળ ખાસ ટ્રિબ્યુનલની રચના થાય છે અને કલમ ૮ તેમને સિવિલ કોર્ટ જેવી તમામ સત્તાઓ પ્રદાન કરે છે. જ્યારે કલમ ૨૭ સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રને મર્યાદિત કરે છે. જેથી વડીલોના ભરણપોષણ અને સુરક્ષા માટે જો જરૂરી લાગે તો ટ્રિબ્યુનલ પાસે સંતાનોને ઘરમાંથી ખાલી કરાવવાનો આદેશ આપવાની પૂરી ક્ષમતા છે.
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એસ. વનિતા વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર (૨૦૨૧) તેમજ સમતોલા દેવી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૨૫) ના ભૂતકાળના ઐતિહાસિક ચુકાદાઓનો હવાલો આપ્યો હતો, જેમાં સ્પષ્ટ કરાયું હતું કે મિલકતમાંથી બેદખલ કરવા એ વડીલોના અધિકારોનું રક્ષણ કરવાનો એક કાયદેસર અને વ્યાજબી માર્ગ છે.
