Supreme Court ગુજરાત સહિત દેશભરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે જે ‘રેરા’ (RERA) કાયદો લાવવામાં આવ્યો હતો, તે અત્યારે પોતે જ સવાલોના ઘેરામાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની કામગીરી પર જે રીતે કડક ટિપ્પણી કરી છે, તેણે હજારો ઘરખરીદદારોની વર્ષો જૂની પીડાને વાચા આપી છે. કોર્ટે સીધો સવાલ કર્યો છે કે, શું RERA ખરેખર મધ્યમ વર્ગના માનવીના હિતોનું રક્ષણ કરી રહ્યું છે, કે પછી તે માત્ર એક શોભાના ગાંઠિયા જેવી સંસ્થા બનીને રહી ગઈ છે? આ ટિપ્પણી બાદ હવે રિયલ એસ્ટેટ માર્કેટમાં માળખાકીય સુધારાની માગ પ્રબળ બની છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી દરમિયાન અત્યંત ગંભીર અવલોકન કર્યું કે, અનેક કિસ્સાઓમાં RERA ફરિયાદોના નિકાલમાં અને ઠોસ પરિણામો આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, કોર્ટે એવો આક્ષેપ પણ નોંધ્યો કે કેટલીકવાર રેગ્યુલેટરની ઢીલી નીતિને કારણે પ્રોજેક્ટમાં ડિફોલ્ટ કરનારા બિલ્ડરોને પરોક્ષ રીતે ફાયદો મળી રહ્યો છે. જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની આખી જિંદગીની મૂડી લગાવીને ઘર ખરીદે છે, ત્યારે તેની એક જ અપેક્ષા હોય છે: સમયસર પઝેશન અને ગુણવત્તાયુક્ત બાંધકામ. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ હજારો લોકો કોર્ટ અને રેરાની કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
2016માં જ્યારે રિયલ એસ્ટેટ એક્ટ અમલમાં આવ્યો, ત્યારે એવી આશા હતી કે બિલ્ડરોની મનમાની બંધ થશે અને પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થશે. કાયદાનો મુખ્ય હેતુ જ પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાનો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કાયદો હોવા છતાં દેશભરમાં ‘પ્રોજેક્ટ વિલંબ’ની સમસ્યા ઠેરની ઠેર છે. અનેક બિલ્ડરો રેરાના આદેશોનું પાલન કરતા નથી અને ઓથોરિટી પાસે એવા કોઈ સચોટ હથિયારો નથી કે જે બિલ્ડરો પાસેથી પેનલ્ટી વસૂલીને ગ્રાહકોને વળતર અપાવી શકે. આ કાયદાકીય છટકબારીઓનો ભોગ છેવટે સામાન્ય જનતા જ બની રહી છે.
હવે સમય આવી ગયો છે કે RERAમાં મોટા પાયે સુધારા કરવામાં આવે. માત્ર કાગળ પર આદેશો આપવાને બદલે, રેરા પાસે આદેશોનું અમલીકરણ કરાવવાની સત્તા હોવી જોઈએ. જો બિલ્ડર સમયસર ઘર ન આપે અથવા આદેશનું પાલન ન કરે, તો તેની મિલકતો જપ્ત કરીને ગ્રાહકોને પૈસા પાછા અપાવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને કડક બનાવવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એ તમામ રાજ્યોના રેગ્યુલેટર્સ માટે એક ‘વેક-અપ કોલ’ છે. જો જલ્દી જ નિયમોમાં ફેરફાર નહીં થાય, તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર પરથી સામાન્ય માણસનો વિશ્વાસ ઉઠી જશે.
