QR કોડથી પરીક્ષા કેન્દ્રનું લોકેશન અને ‘પરીક્ષામિત્ર હેલ્પલાઇન’: સુરત જિલ્લામાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ
આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને સુરત જિલ્લા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અને પરીક્ષા સમિતિના અધ્યક્ષ ડૉ. સૌરભ પારધીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્રને પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ વર્ષે સુરત જિલ્લામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે.
પરીક્ષાનું માળખું અને વ્યવસ્થા
સુરત શહેર અને જિલ્લામાં કુલ ૧,૬૫,૬૯૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે, જે ગત વર્ષ કરતા ૧૨,૪૦૦ વધુ છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે ૧૫ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં ૮૮ કેન્દ્રો અને ૫૬૧ બિલ્ડીંગોના ૫૬૫૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે GSRTC દ્વારા ૧૪ વધારાની બસો દોડાવવામાં આવશે.
નવીન પહેલ: QR કોડ અને પરીક્ષામિત્ર હેલ્પલાઇન
વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્રનું સચોટ લોકેશન શોધવામાં સરળતા રહે તે માટે તમામ ૭૨૦ કેન્દ્રોના QR કોડ જનરેટ કરવામાં આવ્યા છે. આ કોડ સ્કેન કરતા જ ગૂગલ મેપ પર કેન્દ્રનું લોકેશન મળી જશે. આ ઉપરાંત, ‘પરીક્ષામિત્ર હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી છે, જેમાં ૧૯૦ વિષય નિષ્ણાતો અને ૨ મનોવૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને માનસિક પ્રશ્નોનું નિરાકરણ લાવશે. મદદ માટે કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૧-૨૬૬૨૯૦૨ કાર્યરત રહેશે.
લાજપોર જેલના કેદીઓ પણ આપશે પરીક્ષા
શિક્ષણના વ્યાપ અને સુધારાત્મક અભિગમના ભાગરૂપે આ વર્ષે લાજપોર જેલના ૩૨ કેદીઓ પણ બોર્ડની પરીક્ષામાં બેસશે, જેમાં ૧૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૪ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ના છે. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક કસોટીઓ તા. ૫ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરીક્ષા સમયે ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે પોલીસ તંત્રને વિશેષ વ્યવસ્થા ગોઠવવા આદેશ અપાયા છે.
