સુરત જિલ્લામાં (Surat District) કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે સુરત શહેરમાં રવિવારે નવા 153 અને જિલ્લામાં 106 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. શહેરમાં કુલ કોરોનાના કેસોની (Cases) સંખ્યા 18,605 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 5765 પર પહોંચી છે. જ્યારે સિટીમાં 2 તથા જિલ્લામાં 2 મોત સાથે કુલ 4 મોત નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 648 પર પહોંચ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 9, વરાછા-એ માં 07, વરાછા-બી માં 10, રાંદેરમાં 29, કતારગામ ઝોનમાં 18, લિંબાયતમાં 9, ઉધનામાં 12 તેમજ અઠવા ઝોનમાં 59 કેસ નોંધાયા હતા. જ્યારે 163 લોકોને સાજા થતા રજા અપાઈ હતી.
શહેરમાં હવે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં આંશિક ઘટાડો આવી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે શહેરીજનો પુરતો સહકાર આપી રહ્યા નથી જેના કારણે કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું નથી. શહેરમાં દરરોજ 150 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે તેમજ ઘણા પોઝિટિવ દર્દી હોમ આઈસોલેશનની ગાઈડલાઈનનું પણ પાલન કરી રહ્યા નથી. જેથી શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ ચાલુ જ છે. મનપા કમિશનરે શનિવાર તેમજ રવિવારે ખાણી-પીણીની લારીઓ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતા લારીઓ પણ ચાલુ જ છે અને શહેરીજનો પણ ખાણીપીણીની લારીઓ પર ભીડમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે શનિવારે પણ લોકો ખાણીપીણીની લારી પર ભીડમાં જોવા મળ્યા હતા અને રવિવારે પણ શહેરીજનો ફરવા નીકળી પડ્યા હતા તેમજ ખાણીપીણીની લારીઓ પર ભીડમાં જોવા મળ્યા હતા.
સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે નતનવી સ્ટ્રેટજીઓ બનાવીને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. શનિવાર તેમજ રવિવારે શહેરીજનો મોલમાં ફરવા નીકળતા હોય, શહેરના વિવિધ ઝોનમાં આવેલા મોલ શનિવાર તેમજ રવિવારે બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અઠવા અને રાંદેર ઝોનમાં ખાણીપીણીની લારીઓ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં પણ ગઈકાલે અને રવિવારે ખાણીપીણીની લારીઓ ચાલુ જ હતી અને લોકો પણ ભીડમાં જોવા મળ્યા હતા. સાથે જ રાંદેર ઝોનમાં પાલ આર.ટી.ઓ રોડ પર ફુટપાથ પર પણ શહેરીજનો ભીડમાં બેસીને ખાણીપીણીની મજા લઈ રહ્યા હતા.
મજુરાગેટથી વનિતાવિશ્રામના જાહેર રસ્તા પર લોકો ખરીદી માટે ઉમટી પડ્યા
શહેરમાં નવી સિવિલ હોસ્પિટલથી માંડ 2 કિ.મી ના અંતરમાં મજુરાગેટથી વનિતાવિશ્રામ સુધીના રોડ પર વિવિધ વસ્તુઓના વેચાણ માટે વિક્રેતાઓ ફુટપાથ પર બેસતા હોય છે ત્યાં દર શનિવાર અને રવિવારે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ હાલના કોરોના કાળમાં પણ લોકો અહી ભીડમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને તંત્ર જાણ નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. ખરીદી કરતા લોકો સોશીયલ ડિસ્ટ્ન્સીંગ વગર જ ખરીદી કરતા હોય, આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહી!!!