શહેરમાં રસ્તાઓમાં (Roads) વિવિધ જગ્યાઓ પર ખાડા પડી જતા સુરત મનપાના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ રસ્તાઓની કામગીરી બાબતે અને ઝોનવાઈઝ તુટેલા રસ્તાઓની માહિતીનો રિપોર્ટ (Report) માંગ્યો છે.શહેરમાં અતિવરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે અને તેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી સુરત મનપાના (SMC) જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ રસ્તાઓનો ઝોનવાઈઝ રિપોર્ટ મંગાવ્યો છે.
તેઓએ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન, આર.ડી.ડી. વિભાગ તથા તેને સંલગ્ન ઝોનવાઈઝ વિસ્તારોમાં કોરોનાનો કારણે સમયસર ન બનેલા રસ્તા તેમજ અતિભારે વરસાદના કારણે ટી.પી.રસ્તા તેમજ સોસાયટીના આંતરિક રસ્તાઓ કાર્પેટ, રી કાર્પેટ, સી.સી./પોલીમરીક સીમેન્ટ કોક્રીટ /માઈક્રો સરફેસી તથા વી.ડી.એસ. પદ્ધતિથી પી.સી.સી કરેલા રસ્તાઓ તુટ્યા છે તે ક્યા વર્ષે બનાવવામાં આવ્યા હતા? અને કયા રસ્તા બનાવવાના બાકી હતા? તેવા રસ્તાઓનો ઝોનવાઈઝ તાત્કાલિક રીપોર્ટ મંગાવ્યો છે. અને ઝોનવાઈઝ તમામ તુટેલા રસ્તાઓની માહિતી પણ મંગાવી છે. તેમજ જે રસ્તાઓ ટેન્ડરની શરતો અનુસાર કોન્ટ્રાકટરની વોરંટી પીરીયડ માંઆવતા હોય તેવા રસ્તા જે તે કોન્ટ્રાકટર પાસે જ બનાવવા તથા કોઈ કોન્ટ્રાકટર રસ્તા બનાવવા અસમર્થ હોય તો ડીપોઝીટ પેટે જમા કરેલી રકમમાંથી ખર્ચ વસુલ કરવા અથવા રકમ જપ્ત કરવી, તેમજ કસુરદાર કોન્ટ્રાક્ટર સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પણ સુચના આપી હતી.
રસ્તાઓની બિસ્માર હાલત સામે શિવસેનાનું આંદોલન, જનતા સ્વયંભૂ જોડાઈ
સુરત. શહેરમાં અનરાધાર વરસેલા વરસાદે (Rain) સુરત મહાનગર પાલિકાની (SMC) પ્રી મોનસુન કામગીરી ની પોલ ખોલી નાખી છે. શહેર ના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આજ રોજ શિવસેના (Shivsena) દ્વારા ડિંડોલી સાઈ પોઇન્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રાહિમામ જનતા પણ સ્વયંભૂ જોડાઈ હતી.
શિવસેના ડિંડોલી વિભાગના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ડિંડોલી સાઈ પોઇન્ટ પર એકત્રિત થયા હતા અને રસ્તા પર ધરણાં પ્રદર્શન સાથે વિરોધ નોધાવ્યો હતો. શિવસેનાના કાર્યકર્તાઓ નો આક્ષેપ હતો કે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તાઓના કામકાજ માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે , તેમ છતાં ચોમાસામાં હાલત જૈસે થે વૈસે જોવા મળે છે. પ્રિ મોનસુન કામગીરી ના નામે પણ માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે.ત્યારે શિવસેના દ્વારા રસ્તાઓની કામગીરી માં આચરવા માં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. શિવસેનાના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ધરણાં પ્રદર્શન સાથે જ ભાજપ શાસકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને આ મામલે તપાસની માંગ કરી હતી.