શું ટાટા ગ્રૂપમાં ફરી 2016 જેવો ધમાકો થશે? સરકાર સુધી પહોંચ્યો ચંદ્રશેખરન-નોએલ ટાટાનો અંદરોઅંદરનો જંગ!
ભારતના સૌથી વિશ્વાસુ અને જૂના ઉદ્યોગસમૂહોમાંના એક એવા ટાટા ગ્રૂપ (Tata Group) માં બધું બરાબર નથી ચાલી રહ્યું. ટાટા સન્સના બોર્ડરૂમનો વિવાદ હવે બહાર આવી ચૂક્યો છે. અંદરોઅંદરના મતભેદોના કારણે ગયા અઠવાડિયે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન (N. Chandrasekaran) એ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ આમ છતાં ટાટા ગ્રૂપની અંદર ચાલી રહેલી ઉથલપાથલ શાંત થવાનું નામ નથી લઈ રહી.
અહેવાલો મુજબ, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા (Noel Tata) એ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરીને ગ્રૂપની અંદર ચાલી રહેલી ખેંચતાણ અને અસ્થિરતા અંગે માહિતગાર કર્યા હતા. આ મુલાકાત ચંદ્રશેખરન દ્વારા રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ તે પહેલાં થઈ હતી.

બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા? શું છે અસલી વિવાદ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારી અધિકારીઓ સાથે થયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ચંદ્રશેખરન અને નોએલ ટાટા બંનેએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચર્ચા દરમિયાન ગ્રૂપના ભવિષ્ય અને ગવર્નન્સ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા હતા:
-
વ્યૂહરચના અને ગવર્નન્સમાં મતભેદ: કંપનીને આગળ લઈ જવાની રણનીતિ અને નિર્ણય લેવાની પ્રક્રિયા (Governance) ને લઈને નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા.
-
પુનઃનિયુક્તિ અંગે અનિશ્ચિતતા: ચંદ્રશેખરનની ચેરમેન તરીકે બીજી ટર્મ અને તેમની પુનઃનિયુક્તિને લઈને ટ્રસ્ટમાં સંમતિ બની રહી નહોતી.
-
નવા બિઝનેસ અને ખોટ કરતા પ્રોજેક્ટ્સ: ટાટા ગ્રૂપ દ્વારા શરૂ કરાયેલા નવા ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સેમિકન્ડક્ટર વેન્ચર્સમાં થઈ રહેલું રોકાણ તેમજ એર ઈન્ડિયા (Air India) ને થઈ રહેલી નાણાકીય ખોટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
-
નવી નિમણૂકો: ગ્રૂપમાં ઉચ્ચ પદો પર કરવામાં આવતી નવી નિમણૂકોને લઈને પણ બંને નેતાઓ વચ્ચે એકમતિ નહોતી.
આ તમામ મુદ્દાઓએ મળીને એવો માહોલ ઊભો કર્યો કે અંતે ચંદ્રશેખરને પદ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.
નોએલ ટાટાનો દિલ્હી પ્રવાસ અને અટકળો
આ સમગ્ર વિવાદ વચ્ચે નોએલ ટાટાનો દિલ્હી પ્રવાસ ભારે ચર્ચામાં રહ્યો હતો. સ્વતંત્રતા દિવસ અને પારસી નવ વર્ષની રજાઓ દરમિયાન નોએલ ટાટા રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.
જોકે, તેમના નજીકના વર્તુળોએ સ્પષ્ટ કર્યું છે કે આ મુલાકાત ગ્રૂપની રિટેલ બ્રાન્ચ ‘ટ્રેન્ટ’ (Trent) ના કામકાજ સંબંધિત હતી અને તેને ઉત્તરાધિકારી (Succession) ની પ્રક્રિયા કે સરકારી બેઠકો સાથે કોઈ લેવાદેવા નથી. નોએલ ટાટા હાલમાં ટ્રેન્ટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને ગ્રૂપની ૭૦ વર્ષની નિવૃત્તિ નીતિ હેઠળ તેઓ આ વર્ષે નવેમ્બરમાં આ પદ છોડવાના છે.
પરંતુ, ચંદ્રશેખરનના રાજીનામાની જાહેરાત વચ્ચે તેમના આ પ્રવાસે કોર્પોરેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે ટ્રેન્ટના રોજના ઓપરેશનલ કામકાજમાં તેમની કોઈ સીધી ભૂમિકા રહેતી નથી.
ખાનગી કંપનીના વિવાદમાં સરકારની ભૂમિકા શું છે?
સામાન્ય રીતે કોઈ ખાનગી કોર્પોરેટ ગ્રૂપના આંતરિક બોર્ડરૂમ વિવાદમાં દેશના રાજકીય નેતાઓ કે સરકાર હસ્તક્ષેપ કરતી નથી, સિવાય કે કંપની કોઈ મોટા નાણાકીય સંકટ કે નાદારી (Bankruptcy) ની સ્થિતિમાં હોય.
પરંતુ ટાટા ગ્રૂપ ભારતની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ (Systemically Important) ગ્રૂપ છે. તેથી જ સરકારી અધિકારીઓએ ચંદ્રશેખરન અને નોએલ ટાટા બંનેની વાતો સાંભળી હતી.
અહેવાલો મુજબ, સરકારે આ મામલે સંપૂર્ણ તટસ્થતા જાળવી રાખી છે અને કોઈ પણ જૂથનો પક્ષ લીધો નથી. અધિકારીઓનો સ્પષ્ટ અભિગમ એવો છે કે કંપની પોતાના આંતરિક મુદ્દાઓ પોતે જ ઉકેલે, પરંતુ દેશના આર્થિક હિતોને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ.

વર્ષ 2025 માં પણ શરૂ થયો હતો કંટ્રોલનો ખેલ
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેનો આ ઘર્ષણ પહેલીવાર નથી થયો. ૨૦૨૪માં રતન ટાટાના નિધન બાદ જ્યારે નોએલ ટાટાએ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી, તેના લગભગ એક વર્ષ પછી એટલે કે ૨૦૨૫ માં પણ મતભેદો સપાટી પર આવ્યા હતા.
તે સમયે પણ નોએલ ટાટા, એન. ચંદ્રશેખરન અને ટીવીએસ મોટરના ચેરમેન એમેરિટસ વેણુ શ્રીનિવાસન સહિતના ટ્રસ્ટીઓએ સરકારી અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. તે બેઠકોનો હેતુ ટાટા સન્સના કોર્પોરેટ સ્ટ્રક્ચરને નિયંત્રિત કરનારા નવા નિયમો પર ચર્ચા કરવાનો હતો.
તાજેતરમાં જૂન ૨૦૨૬ માં પણ નોએલ ટાટાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ટાટા સન્સના સંભવિત આઈપીઓ (IPO) ને લગતી હતી. જો ટાટા સન્સનો IPO આવે તો કંપની પર ટાટા ટ્રસ્ટ્સનું એકચક્રી શાસન અને કંટ્રોલ ઓછો થઈ જાય તેમ હતો.
મૂળ સમસ્યા શું છે? ‘સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ’ અને સંભવિત ઉકેલ
ટાટા ગ્રૂપના એક ટ્રસ્ટીના જણાવ્યા મુજબ, ટાટા સન્સના ચેરમેન (જે કંપની ચલાવે છે) અને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન (જે મુખ્ય શેરહોલ્ડર છે) વચ્ચે વારંવાર થતો આ તણાવ એ સાબિત કરે છે કે સિસ્ટમમાં જ કોઈ મોટી માળખાકીય ખામી (Structural Problem) છે.
-
ઈતિહાસનું પુનરાવર્તન: પહેલા સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચેનો વિવાદ અને હવે એન. ચંદ્રશેખરન અને નોએલ ટાટા વચ્ચેનો વિવાદ એ દર્શાવે છે કે આ માત્ર વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ પાવર અને નિર્ણય લેવાની સત્તાનો સંઘર્ષ છે.
-
આઈપીઓ (IPO) બની શકે છે ઉકેલ: નિષ્ણાતો અને ટ્રસ્ટીઓનું માનવું છે કે ટાટા સન્સનો IPO લાવવો એ આ સમસ્યાનો કાયમી ઉકેલ હોઈ શકે છે. IPO આવવાથી કંપની અને તેના મુખ્ય શેરહોલ્ડરો વચ્ચેના સંબંધો પારદર્શક બનશે અને નીતિ-નિયમો નવેસરથી નક્કી થશે.
ચંદ્રશેખરનની વિદાય અને આગળનો રસ્તો
૧૨ ઓગસ્ટ ના રોજ એન. ચંદ્રશેખરન (જેઓ ‘ચંદ્રા’ તરીકે જાણીતા છે) એ જાહેરાત કરી કે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૭ ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા પછી તેઓ ટાટા સન્સના ચેરમેન તરીકે આગળ ચાલુ રહેવા માંગતા નથી. રતન ટાટાના અત્યંત નજીકના માનવામાં આવતા અધિકારીઓ વિજય સિંહ અને મેહલી મિસ્ત્રીના ધીમે ધીમે હટ્યા બાદ ચંદ્રશેખરનની આ જાહેરાતે ગ્રૂપમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે.