‘સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…’: સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ દ્વારા કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્રની એનડીએ (NDA) સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્રમાં ઐતિહાસિક મનરેગા (MGNREGA) કાયદાને બદલીને નવું ‘વિકસિત ભારત-જી રામ જી’ (VB-G RAM G) બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ બંને ગૃહોમાં પાસ થયા બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વિશેષ વીડિયો સંદેશ જાહેર કરીને કેન્દ્ર સરકારના આ પગલાની આકરી ટીકા કરી છે. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો છે કે સરકારે ગરીબોના હક સમાન મનરેગા પર ‘બુલડોઝર’ ચલાવી દીધું છે.
20 વર્ષ જૂના ક્રાંતિકારી કાયદાનો અંત
પોતાના વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ 20 વર્ષ પહેલા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ (UPA) સરકાર દ્વારા લાવવામાં આવેલા મનરેગા કાયદાને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, “20 વર્ષ પહેલા જ્યારે મનરેગા કાયદો પસાર થયો હતો, ત્યારે તે ગ્રામીણ ભારતના ગરીબો માટે એક ક્રાંતિકારી ડગલું હતું. આ કાયદાએ કરોડો પરિવારોને ગૌરવ સાથે જીવવાનો અને રોજગારનો અધિકાર આપ્યો હતો. પરંતુ આજે સરકારે આ ઐતિહાસિક કાયદાને ખતમ કરીને ગરીબોની આશા પર બુલડોઝર ફેરવી દીધું છે.”
દિલ્હીથી નિયંત્રણ પર સવાલ
સોનિયા ગાંધીએ નવા કાયદાની પ્રક્રિયા અને તેની અમલવારી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે મનરેગા હેઠળ રોજગારની માગ સ્થાનિક સ્તરેથી થતી હતી, પરંતુ નવા કાયદા બાદ હવે બધું જ કેન્દ્રિય બની જશે.
“હવે કોને રોજગાર મળશે, ક્યારે મળશે અને કેટલો મળશે, તે દિલ્હીમાં બેઠેલા લોકો નક્કી કરશે. આ જમીની હકીકતથી દૂર લેવાયેલો નિર્ણય છે.” – સોનિયા ગાંધી
તેમણે ઉમેર્યું કે આ ફેરફારથી ગામડાના મજૂરોએ હવે પોતાના હક માટે દિલ્હી તરફ જોવું પડશે, જે લોકશાહી અને વિકેન્દ્રીકરણની વિરુદ્ધ છે.
भाई और बहनों.. नमस्कार
मुझे आज भी याद है, 20 साल पहले डॉ. मनमोहन सिंह जी प्रधानमंत्री थे, तब संसद में मनरेगा कानून आम राय से पास किया गया था। यह ऐसा क्रांतिकारी कदम था, जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला था। खासतौर पर वंचित, शोषित, गरीब और अतिगरीब लोगों के लिए… pic.twitter.com/mjH4CfYRVe
— Congress (@INCIndia) December 20, 2025
શું છે ‘VB-G RAM G’ બિલ અને વિવાદ?
સરકારે ‘વિકસિત ભારત-જી રામ જી’ બિલ દ્વારા મનરેગાનું નામ બદલીને તેને નવું સ્વરૂપ આપવાનો દાવો કર્યો છે. આ બિલની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
- રોજગારની ખાતરી: નવા બિલમાં વાર્ષિક 100 દિવસને બદલે 125 દિવસના રોજગારની જોગવાઈ કરવામાં આવી છે.
- ભંડોળની વહેંચણી: મનરેગામાં મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર ભોગવતું હતું, જ્યારે નવા બિલમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40 ના ગુણોત્તરમાં ખર્ચ વહેંચવાની વાત છે.
- ડિજિટલ મોનિટરિંગ: એઆઈ (AI) અને જીપીએસ (GPS) દ્વારા દેખરેખ વધારવાનો પ્રસ્તાવ છે.
વિપક્ષનો આરોપ છે કે રાજ્ય સરકારો પર આર્થિક બોજ વધારીને કેન્દ્ર સરકાર આ યોજનાને નબળી પાડવા માંગે છે. તેમજ મહાત્મા ગાંધીનું નામ હટાવવાને લઈને પણ કોંગ્રેસ ભારે નારાજગી વ્યક્ત કરી રહી છે.
ગરીબો અને મજૂરોનું શોષણ વધશે: કોંગ્રેસ
સોનિયા ગાંધીએ પોતાના સંદેશમાં ચેતવણી આપી હતી કે આ નવા કાયદાથી ગ્રામીણ વિસ્તારોમાં શોષણ વધશે. મનરેગાએ મજૂરોને લઘુત્તમ વેતન મેળવવા માટેની શક્તિ આપી હતી, જે હવે જોખમમાં છે. કોંગ્રેસે આ બિલને ‘ગરીબ વિરોધી’ ગણાવ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની સંકેત આપ્યા છે.

