આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને પુરુ વેતન ના ચુકવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે આ બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા રજુઆતો કરવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કર્મચારીઓના ચુકવણા બાબતે યોગ્ય કાર્યવાહી ના કરતા તેમજ ફરિયાદોનો સંતોષકારક જવાબ ના મળતા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા તેમજ એજન્સીઓ અને અધિકારીઓની લાલિયાવાડી ખુલ્લી પાડવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આરટીઆઈ નુ શસ્ત્ર ઉગામ્યુ છે જે અન્વયે આજે વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આઉટસોર્સિંગ કર્મચારીઓએ જીલ્લા કલેકટરને સામુહિક આરટીઆઈ કરી આઉટસોર્સિંગની નિતી સામે વિરોધ દર્શાવ્યો અને પોતાના પાંચ વર્ષમાં એજન્સીઓ દ્વારા ચુકવાયેલ પગાર, બોનસ ઈપીએફ ઈએસઆઈસી એરિયર્સ સહિત કાપવામા આવતી રકમનો આરટીઆઈ દ્વારા હિસાબ માગ્યો હતો.
ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય એ જણાવ્યું કે સરકાર બધુ જાણતી હોવા છતા નક્કર કામગીરી કરવાની જગ્યાએ માત્ર આદેશ કરીને સંતોષ માને છે સમયસર પગાર ના કરનાર હોસ્પિટલો અને સંસ્થાઓ વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ મુજબ કાર્યવાહી કરવા સરકારે 22 જુને આદેશ કરેલ પરંતુ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો નવેમ્બર મહિનાનો પગાર હજી સુધી થયો નથી એમ છતાં એક પણ ફરિયાદ હજી સુધી કરવામાં આવી નથી. એક બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વચોટીયા ભ્રષ્ટાચાર કરે છે એવી ડાહી વાતો કરે છે જયારે બીજી બાજુ આઉટસોર્સ એજન્સીઓ જેવા વચેટીયાઓને પ્રોત્સાહન આપી બે મોઢાની વાતો કરી રહ્યા છે. આઉટસોર્સિંગ ની નિતીથી સરકારની અને કર્મચારીઓ ની તિજોરીને નુકસાન જતુ હોવા છતાં જનતાના ટેક્ષના નાણાનો દુરઉપયોગ કરી પોતાના મળતિયાઓને માલદાર કરવા જ આઉટસોર્સિંગની નિતી સરકાર લાવી હોવાનો આક્ષેપ રજનીકાંત ભારતીયએ લગાવવાની સાથે આગળ ઉગ્ર આંદોલન ની ચીમકી આપી છે.