વોડાફોન આઈડિયા (Vi) ને મળી નવી ‘સંજીવની’: ટાટા કેપિટલ સહિતના દિગ્ગજ રોકાણકારોએ રૂ. 3,300 કરોડ ઠાલવ્યા
લાંબા સમયથી આર્થિક સંકટ અને દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઈડિયા (Vi) માટે બજારમાંથી ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. જ્યારે મુખ્ય પ્રવાહની બેંકો કંપનીને લોન આપવામાં ખચકાટ અનુભવી રહી છે, ત્યારે ટાટા કેપિટલ (Tata Capital) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ કંપની પર વિશ્વાસ મૂકીને મોટું રોકાણ કર્યું છે.
ટાટા અને અન્ય દિગ્ગજોએ ખોલ્યો ખજાનો
વોડાફોન આઈડિયાએ બોન્ડ સેલ દ્વારા બજારમાંથી કુલ 3,300 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જેમાં સૌથી મહત્વનું રોકાણ ટાટા કેપિટલ દ્વારા 500 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. ટાટા ઉપરાંત અન્ય મોટા ખેલાડીઓએ પણ આ ભંડોળમાં હિસ્સો લીધો છે:
- જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ: આશરે ₹400 કરોડ
- આદિત્ય બિરલા કેપિટલ: આશરે ₹400 કરોડ
- હીરો ફિનકોર્પ: આશરે ₹400 કરોડ
- નોમુરા કેપિટલ: વિદેશી અને NBFC રૂટ દ્વારા રોકાણ
12% વ્યાજની આકર્ષક ઓફર
કંપનીએ આ ભંડોળ તેની પેટાકંપની ‘વોડાફોન આઈડિયા ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ દ્વારા બે હિસ્સામાં એકત્ર કર્યું છે:
- સીરીઝ A: ₹3,000 કરોડ એકત્ર કર્યા, જેના પર રોકાણકારોને 12% જેટલું આકર્ષક વ્યાજ મળશે.
- સીરીઝ B: ₹300 કરોડ એકત્ર કર્યા, જેના પર 7% વ્યાજ મળશે. આ સિક્યોરિટીઝની મુદત 21 મહિનાની છે, જેમાં એક વર્ષ પછી ‘કોલ ઓપ્શન’ (પરત લેવાની સુવિધા) પણ ઉપલબ્ધ છે.
ક્યાં વપરાશે આ નાણાં?
કંપની આ જંગી રકમનો ઉપયોગ મુખ્યત્વે તેના ફાઈબર એસેટ્સના ટ્રાન્સફર અને નેટવર્ક સુધારણા (Capex Plans) માટે કરશે. આનાથી કંપનીને તેની 4G સેવા મજબૂત કરવામાં અને 5G ના વિસ્તરણમાં મદદ મળશે.
શું Vi ના ‘અચ્છે દિન’ આવશે?
ટેલિકોમ સેક્ટરમાં વોડાફોન આઈડિયા માટે આ ફંડ એક લાઈફલાઈન સમાન છે. સરકાર ઓલરેડી કંપનીમાં 48.99% હિસ્સો ધરાવે છે. વધુમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા AGR બકાયા પર રાહત આપવાની અરજી પર વિચાર કરવાના સંકેત મળ્યા છે.
ગ્રાહકોને શું ફાયદો? જો કંપની આ ફંડનો યોગ્ય ઉપયોગ નેટવર્ક સુધારવા માટે કરશે, તો આગામી સમયમાં Vi ના ગ્રાહકોને કોલ ડ્રોપ અને ધીમી ઇન્ટરનેટ સ્પીડની સમસ્યાઓમાંથી મોટી રાહત મળી શકે છે.

