જેપી નડ્ડા અને CJP નેતાઓ વચ્ચેની મુલાકાત પર વિવાદ: પ્રથમ ફોન કોલ અને વાટાઘાટોની પહેલ કોણે કરી તે અંગે બે જુદા જુદા દાવવા?
કેન્દ્ર સરકાર અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) વચ્ચે ચાલતી મડાગાંઠ ઉકેલવાના પ્રથમ પ્રયાસ સાથે જ એક નવો વિવાદ સામે આવ્યો છે. મધ્ય દિલ્હીમાં આયોજિત CJPની “ચલો સંસદ” કૂચ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓના જમાવડા વચ્ચે, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સીજેપીના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠક પૂરી થતાં જ વાટાઘાટો માટેની પહેલ કોણે કરી હતી તે અંગે બંને પક્ષો વચ્ચે પરસ્પર વિરોધી નિવેદનો સામે આવ્યા છે.
એક તરફ સરકાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનકારીઓએ પોતે જ વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી, તો બીજી તરફ સીજેપી નેતાઓનું કહેવું છે કે સરકારે દિલ્હી પોલીસ મારફતે પ્રથમ સંપર્ક સાધ્યો હતો.
જેપી નડ્ડાનો દાવો: ‘વિરોધીઓ તરફથી જ પ્રસ્તાવ આવ્યો હતો’
મીટિંગ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે લખ્યું કે આ મુલાકાત માટેની પહેલ વિરોધ કરનારા સંગઠન તરફથી જ કરવામાં આવી હતી.
“આજે સવારે, પહેલી વાર, વિરોધીઓ તરફથી સરકાર સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો, અને અમારી ચર્ચાઓ સવારે ૧૧.૫૦ વાગ્યાથી ચાલી રહી છે. બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. તેમના પ્રતિનિધિમંડળ સાથે પ્રારંભિક મૌખિક ચર્ચા વિગતવાર થઈ, અને તેમણે સાંજે ૪ વાગ્યાની આસપાસ મને લેખિત અરજી સુપરત કરી. મેં બધા વિરોધીઓને તેમના ધરણા સમાપ્ત કરવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી છે.”

નડ્ડાના આ વિધાનથી એવો સંદેશ ગયો કે સરકાર તરફથી કોઈ નમતું જોખવામાં આવ્યું નથી, પરંતુ આંદોલનકારીઓએ જ સામે ચાલીને વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો.
CJPનો પલટવાર: ‘ડીસીપી અને દિલ્હી પોલીસે પહેલા સંપર્ક કર્યો હતો’
જેપી નડ્ડાના નિવેદનની સામે CJP નેતાઓએ અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. CJP પ્રવક્તા સૌરવ દાસ અને નેતા આશુતોષ રંકાએ સોશિયલ મીડિયા પર ઘટનાક્રમનો તારીખ અને સમયવાર હિસાબ આપ્યો હતો.
સૌરવ દાસે સવારે ૧૧:૫૨ વાગ્યે X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, “આશુતોષ રંકા અને હું, કોકરોચ જનતા પાર્ટી વતી, જેપી નડ્ડા સાથે મળવા જઈ રહ્યા છીએ. સરકારે સવારે વાતચીત માટે સંપર્ક કર્યો હતો. અમારી માંગણીઓ સ્પષ્ટ છે.”
CJP નેતા આશુતોષ રંકાએ વાતચીતની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તે અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે:
ગઈકાલે રાત્રે: નવી દિલ્હીના DCP દ્વારા સરકાર સાથે વાતચીતની ચેનલ ખોલવા માટે પહેલો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આજે સવારે ૬ વાગ્યાથી: દિલ્હી પોલીસ અને સરકાર સાથે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ હતી.
સવારે ૧૧:૪૫ વાગ્યે: આખરે જેપી નડ્ડા સાથે મુલાકાત નક્કી થઈ હતી.
રંકાએ અગાઉની એક પોસ્ટમાં સરકાર પર વિલંબ કરવાનો આરોપ લગાવતા લખ્યું હતું કે, “આજે સવારે દિલ્હી પોલીસ દ્વારા અમને સરકારની વાતચીત કરવાની તૈયારી વિશે જાણ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ૫ કલાકમાં આ અંગે કોઈ પ્રગતિ થઈ નથી. શું સરકાર જાણી જોઈને ચર્ચામાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે?”
૧૦ મિનિટની બેઠક અને માંગણીઓનો પત્ર
લાંબી રાહ જોયા બાદ બપોરે CJPના પ્રતિનિધિમંડળે જેપી નડ્ડાના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક આશરે ૧૦ મિનિટ સુધી ચાલી હતી.
#IMPORTANT: It’s 11:52 AM. Ashutosh Ranka and I, on behalf of the Cockroach Janta Party, are on our way to meet J.P. Nadda. The government had reached out for talks in the morning. Our demands are clear. The youth has gathered in huge numbers.
We shall win!
— Saurav Das (@SauravDassss) July 20, 2026
મુલાકાત બાદ રંકાએ પોસ્ટ કર્યું કે, “મેં અને આશુતોષ રંકાએ હમણાં જ જે.પી. નડ્ડા જીને તેમના નિવાસસ્થાને ૧૦ મિનિટ માટે મળ્યા હતા. અમે અમારી માંગણીઓ સાથે એક લેખિત પત્ર સબમિટ કર્યો છે, અને તેમણે ખાતરી આપી છે કે તેઓ આ અંગે આંતરિક રીતે નેતૃત્વ સાથે વાત કરશે.”
પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીથી તણાવ વધ્યો
એક તરફ જ્યારે સંવાદની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ વિરોધ સ્થળ પર સ્થિતિ તંગ બની હતી. CJP નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે વાચચીત ચાલુ હોવા છતાં વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનોની સામૂહિક અટકાયત કરવામાં આવી રહી છે.
આશુતોષ રંકાએ દિલ્હી પોલીસને ટેગ કરીને કડક શબ્દોમાં અપીલ કરી હતી કે, “દિલ્હી પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ઘાતકી બળનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો જોઈએ.”